વિન્ડીઝ સામે ટી૨૦ બાદ વન-ડેમાં પણ મેદાન ગજાવશે ટીમ ઇન્ડિયા
એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં રોહિત શર્માએ ફુલ ફૉર્મમાં પ્રૅક્ટિસ કરી હતી.
ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ ભલે ટીમ ઇન્ડિયાના નામે રહી હોય, પણ મહેમાન ટીમે આપેલી લડત પણ કાબિલે-તારીફ હતી. ૨-૧થી સિરીઝ હારી ગયા બાદ વેસ્ટ ઇન્ડીઝ આજથી શરૂ થનારી ત્રણ વન-ડે મૅચોની સિરીઝમાં યજમાન ટીમને સારીએવી લડત આપવાના ઉદ્દેશથી મેદાનમાં ઊતરશે.
વન-ડે મૅચોની સિરીઝ પહેલાં જ ઇન્ડિયન ટીમને બે પ્લેયરોનો ફટકો પડ્યો છે. ઓપનર શિખર ધવન અને બોલર ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયા છે. આ બન્ને પ્લેયરોના સ્થાને અનુક્રમે મયંક અગરવાલ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બે પ્લેયરો ઉપરાંત વિરાટ કોહલી ચેન્નઈની પિચ પર યુઝવેન્દ્ર ચહલ કે કુલદીપ યાદવ એમ કયા બોલરને લઈને મેદાનમાં ઊતરશે એ જોવા જેવું રહેશે.
સામા પક્ષે કિરોન પોલાર્ડના નેતૃત્વમાં રમી રહેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ સારું પર્ફોર્મ કરી રહી છે. ટી૨૦ સિરીઝમાં તેમણે ભારતીય ટીમને સારી લડત આપી હતી. ભારતે જ્યાં પોતાના બે પ્લેયરોને રિપ્લેસ કરવાનો વારો આવ્યો છે ત્યાં વિન્ડીઝ માટે સારી વાત એ છે કે ટીમમાં શાહી હૉપ કમબૅક કરી રહ્યો છે.
આ પહેલાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર ત્રણ વન-ડે મૅચોની સિરીઝ રમાઈ હતી જેમાં ભારત ૨-૦થી સિરીઝ જીત્યું હતું. આ વખતે પણ શું ઇન્ડિયન ટીમ કૅરિબિયન ટીમ સામે વન-ડે સિરીઝ જીતી શકે છે કે નહીં એ જોવાનું રહેશે.