ખેલપ્રધાન કિરેન રિજિજુનું આશ્વાસન
કિરેન રિજિજુ
ગઈ કાલે દેશના ખેલપ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોરોનાની રસી શોધાતાં એ રસી માટે ઑલિમ્પિકના ખેલાડીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફને પ્રાથમિકતા આપવામાં આવશે. કોરોનાને લીધે મોકૂફ કરવામાં આવેલી ટોક્યો ઑલિમ્પિક્સ આવતા વર્ષે ૨૩ જુલાઈથી ૮ ઑગસ્ટ સુધી રમાશે. કિરેન રિજિજુએ કહ્યું કે ‘ટોક્યો ઑલિમ્પિક્સ હોય કે અન્ય મોટી ઇવેન્ટ હોય, સમયને ધ્યાનમાં રાખીને ઑલિમ્પિક્સના ઍથ્લિટ્સ અને અન્ય સપોર્ટ સ્ટાફને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. આપણા ઍથ્લિટ્સને પ્રાથમિકતા મળી રહે એ માટે અમે ગૃહમંત્રાલય સાથે પણ વાટાઘાટ કરીશું. અમે આશ્વાસન આપીએ છીએ કે દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડી અને આયોજકોની સુરક્ષાને સંપૂર્ણપણે મહત્ત્વ આપવામાં આવશે. ઑલિમ્પિક્સ ક્વૉલિફિકેશનની મૅચ હવે શરૂ થવાની છે માટે હું ઇચ્છું છું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી માત્રામાં સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય. મારા ખ્યાલથી હવે લૉકડાઉનનો સમય પૂરો થઈ ગયો છે અને હવે આપણે રમતગમતની પ્રવૃત્તિઓ શરૂ કરી રહ્યા છીએ.’