રાષ્ટ્રગાન વખતે ભાવુક થયો સિરાજ, તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં
રાષ્ટ્રગાન વખતે ભાવુક થયો સિરાજ, તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં
ગઈ કાલે મૅચ શરૂ થતાં પહેલાં બન્ને દેશનાં રાષ્ટ્રગાન વખતે એક ભાવુક દૃશ્ય જોવા મળ્યું હતું. ભારતીય રાષ્ટ્રગીત વખતે પેસબોલર મોહમ્મદ સિરાજ ખૂબ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આંખોમાં આવેલાં આંસુ બન્ને હાથથી લૂછતો હોવાનો સિરાજનો નાનકડો વિડિયો ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.
સિરાજની આ ભાવુકતા જોતાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન વસીમ જાફરે એક ટ્વીટ કરતાં કહ્યું કે ‘તમને ચિયર કરવા ઓછું ક્રાઉડ હોય કે કોઈ ન પણ હોય, તમે ઇન્ડિયા માટે રમો છો એ પ્રેરણાની તોલે કોઈ ન આવે. કોઈ લેજન્ડે એક વખત કહ્યું હતું કે તમે ક્રાઉડ માટે નથી રમતા, દેશ માટે રમો છો.’
જાફરે જે લેજન્ડનો ઉલ્લેખ કર્યો છે એ મહેન્દ્ર સિંહ ધોની છે, જેણે આ વાક્ય ૨૦૧૧ના વર્લ્ડ કપની એક મૅચ દરમ્યાન કહ્યું હતું.
સિરાજે તેના આધારસ્તંભ પિતા ઑસ્ટ્રેલિયા પહોંચ્યાના અઠવાડિયામાં અવસાન પામ્યા હતા, પણ ભારત પાછો આવવાને બદલે પિતાના નૅશનલ ટીમ વતી રમવાના સપનાને સાકાર કરવા તે ટીમ સાથે રહ્યો હતો અને આખરે બૉક્સિંગ ડે ટેસ્ટ સાથે ટેસ્ટ કરીઅરની શરૂઆત કરી હતી અને પ્રથમ જ મૅચમાં કુલ પાંચ વિકેટ સાથે ટીમની શાનદાર કમબૅક જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ગઈ કાલે પણ તેણે ડેવિડ વૉર્નરની મહત્ત્વની વિકેટ ઝડપી હતી.