દુર્ગાપૂજામાં હાજર રહેનાર શાકિબને મળી મોતની ધમકી
શાકિબ કલકત્તામાં કાલીપૂજાના ઉદ્ઘાટન માટે પહોંચ્યો હતો,
બંગલા દેશના ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન હાલમાં પ્રતિબંધિત હોવાથી ખેલજગતથી દૂર છે પણ તાજેતરમાં બનેલા બે બનાવને લીધે તેને સોશ્યલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી હતી. જોકે ત્યાર બાદ તેણે માફી પણ માગી લીધી હતી.
ગયા ગુરુવારે શાકિબ કલકત્તામાં કાલીપૂજાના ઉદ્ઘાટન માટે પહોંચ્યો હતો, જ્યાંથી તે શુક્રવારે પાછો પોતાના વતન ફર્યો હતો. આ બાબતથી અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાતાં તેણે માફી પણ માગી લીધી હતી. સ્પષ્ટતા કરતાં શાકિબે કહ્યું કે ‘સોશ્યલ મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે હું કાલીપૂજાના ઉદ્ઘાટન માટે ગયો હતો પણ મેં ત્યાં જઈને એવું કંઈ નહોતું કર્યું. તમારે જોઈએ તો આ વાતની પુષ્ટિ કરી શકો છો. હું એક સભાન મુસલમાન છું અને હું આવું ક્યારેય ન કરું. હા, આ મુદ્દો ગંભીર છે, પણ હું એટલું જરૂર કહીશ કે હું એક પ્રાઉડ મુસ્લિમ છું. ભૂલો બધાથી થાય છે. જો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો.’
અન્ય એક ઘટનામાં શાકિબે તેના એક ચાહકનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભારત આવતી વખતે બેનાપોલ ઇન્ટરનૅશનલ ઇમિગ્રેશન ચેકપૉઇન્ટ ખાતે મોહમ્મદ સેક્ટર નામના એક ચાહકે શાકિબને જોયો હતો અને તેની સાથે સેલ્ફી લેવાની માગણી કરી હતી. જોકે શાકિબે કોરોનાનો ચેપ લાગે એવું કારણ બતાવીને તેને દૂર કર્યો હતો જેમાં ચાહકનો મોબાઇલ પડીને તૂટી ગયો હતો. આ ઘટના બાદ ચાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એ વખતે પણ શાકિબે ચાહકની માફી માગી લીધી હતી.