કોઈ પણ સ્થાને બૅટિંગ કરવા તૈયાર છું : રોહિત
રોહિત શર્મા
ઇન્ડિયન ક્રિકેટ ટીમનો હિટમૅન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળશે, પણ તે કયા નંબરે બૅટિંગ કરશે એ હજી સુધી નક્કી નથી. છેલ્લી કેટલીક ટેસ્ટ સિરીઝમાં રોહિતે ઓપનર તરીકે નવી ફરજ બજાવી છે અને એમાં તે સફળ રહ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ સંદર્ભે તેણે કોઈ પણ નંબરે બૅટિંગ કરવાની પોતાની તૈયારી બતાવી છે અને આ બાબતનો અંતિમ નિર્ણય તેણે ટીમ-મૅનેજમેન્ટ પર છોડ્યો છે. સ્વાભાવિક છે કે પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત ફરી રહેલા વિરાટ કોહલીની ગેરહાજરીના સમયે રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા સાથે મળીને ટીમ ઇન્ડિયાને પીઠબળ પૂરું પાડી શકે છે.
રોહિત શર્માએ કહ્યું કે ‘મેં જે અત્યાર સુધી લોકોને કહ્યું છે એ જ તમને કહું છું. ટીમ મને કહેશે એ નંબરે હું બૅટિંગ કરવા તૈયાર છું. મને નથી ખબર કે હું ઓપનર તરીકે રમીશ કે નહીં. મને ભરોસો છે કે ઑસ્ટ્રેલિયાના પ્લેયરોએ વિરાટની ગેરહાજરી વખતની રણનીતિ બનાવી રાખી હશે અને કયા પ્લેયર્સ ઓપનિંગ માટે આવશે એ માટેના વિકલ્પ પણ વિચારી રાખ્યા હશે. એક વાર હું ત્યાં પહોંચી જાઉં પછી મને બધી ખબર પડી જશે કે કઈ રીતે અમારે આગળ વધવાનું છે. કોઈ પણ નંબરે બૅટિંગ કરવામાં મને વાંધો નથી.’
આ ઉપરાંત રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા.