વિરાટનો વર્કલોડ ઓછો કરવા ટી૨૦માં કૅપ્ટન તરીકે રોહિત બેસ્ટ : યુવરાજ
વિરાટ કોહલી
નવી દિલ્હી : (પી.ટી.આઇ.) ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે વિરાટ કોહલીની કૅપ્ટનશિપ સંદર્ભમાં વાત કરતાં રોહિત શર્માના નામની ભલામણ કરી હતી. વાસ્તવમાં ત્રણેય ફૉર્મેટમાં વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરે છે એટલે કોહલીનો વર્કલોડ ઓછો કરવા માટે ટી૨૦માં ઇન્ડિયન ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આપવાની યુવરાજ સિંહે ભલામણ કરી છે. રોહિત આઇપીએલમાં એક સફળ કૅપ્ટન સાબિત થયો છે માટે ટીમ ઇન્ડિયાની કમાન તેને સોંપવામાં કોઈ તકલીફ નથી. આ સંદર્ભે વધુ વાત કરતાં યુવરાજે કહ્યું કે ‘પહેલાં વન-ડે અને ટેસ્ટમાં એક જ કૅપ્ટન હોય એ ચાલી જતું, પણ હવે ટી૨૦ના કૅપ્ટન તરીકેની જવાબદારી હોવાથી કોહલી પર વર્કલોડ વધી જતો હશે. વર્કલોડ ઓછો કરવા બીજાને કૅપ્ટન તરીકેની જવાબદારી આપી શકાય અને મારા ખ્યાલથી રોહિત બેસ્ટ વિકલ્પ છે. મને નથી ખબર કે ટીમ-મૅનેજમેન્ટ શું નિર્ણય લે છે અને શું ખરેખર વિરાટ પર વર્કલોડ છે કે નહીં?’