ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટ મૅચમાંથી આઉટ થયો જાડેજા
રિષભ પંત, રવીન્દ્ર જાડેજા
સિડની ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે અંગૂઠામાં ઈજા થતાં ઇન્ડિયન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આજે મૅચના છેલ્લા દિવસે બૅટિંગ કરવા આવશે કે નહીં એ જોવા જેવું છે. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યા પ્રમાણે ટીમ ઇન્ડિયાને જિતાડવા જો જરૂર પડશે તો જાડેજા ઇન્જેક્શન લઈને પણ મેદાનમાં બૅટિંગ કરવા ઊતરી શકે છે. સામા પક્ષે રિષભ પંત કોણીમાં થયેલી ઈજાથી પરેશાન છે છતાં તેની ઈજા જાડેજાની ઈજા જેટલી ગંભીર નથી.
ઇન્ડિયન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આવતા મહિનાથી ઘરઆંગણે શરૂ થઈ રહેલી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંની શરૂઆતની બે મૅચમાંથી આઉટ થયો છે. ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ સામેની શરૂઆતની બે ટેસ્ટ મૅચમાંથી રવીન્દ્ર જાડેજા આઉટ થયો છે. તેને સ્વસ્થ થતાં અને રીહૅબ પૂરો કરતાં કમસે કમ ચારથી છ અઠવાડિયાં લાગી શકે છે જેને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની શરૂઆતની બે ટેસ્ટ મૅચ નહીં રમી શકે.’
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ સાથે ભારત ચાર ટેસ્ટ મૅચની સિરીઝ રમશે જેમાંની પહેલી અને બીજી મૅચ અનુક્રમે પાંચમી અને તેરમી ફેબ્રુઆરીથી ચેન્નઈમાં રમાશે. ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે.