BCCIના ચીફ તરીકે ગાંગુલી અને NCA માટે દ્રવિડ બેસ્ટ છે : રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રી
ભારતીય ક્રિકેટ હાલમાં ફુલ ફૉર્મમાં પર્ફોર્મન્સ આપી રહી છે. એવામાં ભારતીય ક્ર્કિેટ બોર્ડની કમાન જ્યારથી સૌરવ ગાંગુલીના હાથમાં આવી ત્યારથી ભારતીય ક્રિકેટની ઉમ્મીદો પણ વધી ગઈ છે. એવામાં ટીમના હેડ કોચે પણ પોતાનો મત પ્રગટ કરતાં ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ પદ માટે ગાંગુલી અને નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ) માટે રાહુલ દ્રવિડને બેસ્ટ ગણાવ્યા છે.
ADVERTISEMENT
આ વિશે વધુ જણાવતાં શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બનવા માટે સૌરવ ગાંગુલીને પહેલાં તો અભિનંદન. આ પદ માટેની તેમની નિમણૂક ભારતીય ક્રિકેટની દશા અને દિશા સુધારવા માટે મહત્ત્વની સાબિત થશે. ક્રિકેટ બોર્ડ હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને એની ગાડી ફરી પાછી પાટા પર લાવવા માટે ઘણું કામ કરવાનું બાકી છે. મને ભરોસો છે કે ગાંગુલી આ કામ સારી રીતે પાર પાડી શકશે કેમ કે તેની પાસે વહીવટી કામકાજનો ઘણાં વર્ષોનો અનુભવ છે.’
ગાંગુલી ઉપરાંત શાસ્ત્રીએ રાહુલ દ્રવિડનાં પણ વખાણ મનભરીને કર્યાં હતાં જે એનસીએનો કારભાર સંભાળે છે. આ વિશે શાસ્ત્રીએ કહ્યું હતું કે સૌરવ પ્રેસિડન્ટ હોય અને રાહુલ એનસીએમાં હોય તો એનાથી ઇન્ડિયન ક્રિકેટને વધુ સારું શું જોઈએ?
એનસીએ વાસ્તવમાં એક પ્રારંભિક શાળા છે જ્યાં યુવા પ્લેયરોને ટ્રેઇનિંગ આપવામાં આવે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પર્ફોર્મન્સથી માંડી ધોનીની રિટાયમેન્ટ જેવા અનેક મુદ્દાઓ પર પણ તેણે પોતાના વિચાર રજૂ કર્યા હતા.