રવિ શાસ્ત્રીએ યો-યો ટેસ્ટ પર મુક્યો ભાર, ટેસ્ટનો સ્કોર વધારવા વિચારણા
Mumbai : ટીમ ઇન્ડિયાના કોચ પદે બીજીવાર નિમાયા બાદ રવિ શાસ્ત્રી પહેલા કરતા વધુ સક્રિય થઇ ગયા છે. રવિ શાસ્ત્રી હવે ટીમના ફિટનેસ લેવલને વધુ મજબુત બનાવવા માંગે છે. જેને પગલે હવે યો-યો ટેસ્ટનો સ્કોર 17 સુધી વધારવા માંગ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોચ રવિ શાસ્ત્રી ખુબ જ જલ્દી તમામ દાવેદારો સાથે એક બેઠક કરવાના છે. જેમા યો-યો ટેસ્ટને વધારી 17 સુધી કરવામાં આવે તેવી ચર્ચા કરશે. હાલમાં ભારતીય ખેલાડીઓ માટે યો-યો ટેસ્ટમાં ખેલાડીઓને 16.1 માર્ક મેળવવાના હોય છે.
2017માં જ યો-યો ટેસ્ટ અનિવાર્ય કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એટલે કે 2017માં યો-યો ટેસ્ટને ખેલાડીઓ માટે અનિવાર્ય બનાવવામાં આવ્યો હતો. અંબાતી રાયડૂ, સંજૂ સૈમસન (ઇન્ડિયા-એ) અને મોહમ્મદ સામીને આ ટેસ્ટમાં પાસ ન થવાના કારણે ડ્રોપ કરવામાં આવ્યો હતો. સુરેશ રૈના અને યુવરાજ સિંહ પણ આ કારણે જ ટીમમાં વાપસી કરી શક્યા નહી.
આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....
યો-યો ટેસ્ટ પાસ થાય તો જ ખેલાડી ટીમ ઇન્ડિયામાં રમી શકે છે
યો-યો ટેસ્ટમાં ફેલ થયા બાદ અંબાતી રાયડૂ અને મોહમ્મદ સામીએ ટેસ્ટ પાસ કરી લીધો હતો. બાદમાં રૈના પણ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. જોકે, યુવરાજ સિહએ પણ યો-યો ટેસ્ટ પાસ કર્યો હતો. પરંતુ તે ટીમમાં વાપસી કરી શક્યો ન હતો. મનીષ પાંડેએ યો-યો ટેસ્ટમાં 19.2 માર્ક હાંસલ કર્યા હતાં. એક રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રી પણ ટેસ્ટ ક્રિકેટમાં પણ સલામી બેટ્સમેનોની જવાબદારી રોહિત શર્માને આપવાના પક્ષમાં છે. શાસ્ત્રીના સમર્થન બાદ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કેએલ રાહુલના ફ્લોપ થયા બાદ 2 ઓક્ટોબરથી ટેસ્ટ સિરીઝમાં રોહત ઓપનર તરીકે રમશે.