રવિ શાસ્ત્રીએ કોચ પદ માટે પણ ભરવું પડશે ફૉર્મ
રવિ શાસ્ત્રી
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સંપન્ન થયા બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ફરીથી મેદાનમાં આવી ગયું છે. સમાચાર પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ નજીકના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ માટેના સપોર્ટ સ્ટાફ સહિત હેડ કોચની પદવી માટે અરજીઓ મગાવશે. આથી રવિ શાસ્ત્રી અને અન્યોએ પદ પર રહેવા માટે પુન: આવેદન કરવું પડશે. સપોર્ટ સ્ટાફમાં હેડ કોચ ઉપરાંત બોલિંગ કોચ, બૅટિંગ કોચ અને ફીલ્ડિંગ કોચનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ કપ હોવાથી ટીમ ઇન્ડિયાના આ તમામ કોચને ૪૫ દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે ત્રણ ઑગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી ચાલનારી વેસ્ટ ઇન્ડીઝ ટૂર સુધી લાગુ રહેશે.
આ પણ વાંચો : સુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝ ટૂર બાદ ટીમ ઇન્ડિયા ૧૫ સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકાની ટૂર પર જશે. હેડ કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ નહોતી જીતી શકી, પણ ઑસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરવામાં સફળ થઈ હતી. રવિ શાસ્ત્રી પહેલાં અનિલ કુંબલે ટીમના કોચ હતા. ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે હારી ગયા બાદ ટીમના ટ્રેઇનર શંકર બાસુ અને ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે રાજીનામું આપ્યું હતું.