આફ્રિકનોનો વાઇટવૉશ કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે વિરાટસેના
વિરાટ કોહલી
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે રમાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મૅચ આજથી રાંચીમાં રમાશે. પાછલી બે મૅચોની જેમ આ મૅચમાં પણ મોટો સ્કોર ઊભો કરી મહેમાનનો વાઇટવૉશ કરવાનો વિરાટસેનાનો ઇરાદો હશે.
છેલ્લી બે ટેસ્ટ મૅચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા દરેક ડિપાર્ટમેન્ટમાં નોંધપાત્ર પર્ફોર્મ કરી શકી છે. બૅટ્સમેનો મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહ્યા છે તો બીજી બાજુ બોલરોએ મહેમાન ટીમને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા જ નથી દીધી. સામા પક્ષે ફૅફ ડુ પ્લેસીની ટીમના હાથમાંથી આ સિરીઝ તો જતી રહી છે, પણ પોતાની લાજ બચાવવા તે આ મૅચ જીતવા અથવા તો ડ્રૉ કરાવવાનો ચોક્કસ પ્રયાસ કરશે. આ ઉપરાંત નોંધવા જેવી બાબત એ છે કે સાઉથ આફ્રિકાના ટૉપ ઑર્ડરના બૅટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા છે, પણ પિચ પર ટકી રહીને કાચબાગતિએ મૅચને આગળ વધારવામાં લોઅર ઑર્ડરના પ્લેયરો પોતાની ધીરગંભીર ગેમ રમી જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારત અને દ. આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના લેખાજોખા
આજથી રાંચીમાં શરૂ થનારી મૅચમાં ભારતીય ટીમનો ઉત્સાહ ચોક્કપણે વધારે જ હશે, પણ એ ઉત્સાહના આધારે શું એ મહેમાન ટીમને ભારતીય પિચ પર વાઇટવૉશ કરી શકે છે કે નહીં એ તો પ્લેયરના પર્ફોર્મન્સના આધારે જ કહી શકાશે.