ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી પ્રજ્ઞાન ઓઝાની વિદાય
પ્રજ્ઞાન ઓઝા
સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ગઈ કાલે ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. પ્રજ્ઞાન ઓઝા છેલ્લે ૨૦૧૩માં ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. આ મૅચ સચિન તેન્ડુલકરની પણ છેલ્લી મૅચ હતી. આ વિશે ટ્વિટર પર પ્રજ્ઞાને લખ્યું હતું કે ‘હું મારી લાઇફના નવા ફેઝ તરફ આગળ વધુ એ સમય આવી ગયો છે. મને દરેક વ્યક્તિ તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યા એ હંમેશાં મારી સાથે રહેશે અને મને મોટિવેટ કરશે. મારી કરીઅરમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે.
સમયની સાથે મને અહેસાસ થયો છે કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનની લેગસી તેની મહેનત અને ડેડિકેશનની સાથે તેની ટીમ, તેના કોચ અને ટ્રેઇનરની સાથે ફૅન્સનો વિશ્વાસ પણ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ સાથેની મારી મુસાફરી પણ ખૂબ જ યાદગાર રહી છે. પર્પલ કૅપ હંમેશાં મને યાદ રહેશે. મુંબઈ ઇન્ડિયન્સ અને ડેક્કન ચાર્જર્સનું મારી મુસાફરીમાં હું ખાસ નામ લઉં છું.’
ADVERTISEMENT
પ્રજ્ઞાન ઓઝાએ ૨૦૦૮માં બંગલા દેશ સામે ડેબ્યુ કર્યું હતું. એક વર્ષ બાદ તેણે શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ૨૪ ટેસ્ટ, ૧૮ વન-ડે અને ૬ ટી૨૦માં ટોટલ ૧૪૪ વિકેટ લીધી છે.