પાર્થિવ V/S સહા
ક્રિકેટસમર્થકોને ભારતીય ટેસ્ટ-ટીમમાં સ્થાન મેળવવા માટે બે વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહા અને પાર્થિવ પટેલ વચ્ચે એક રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મુકાબલો રણજી ચૅમ્પિયન ગુજરાત અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે આજથી મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં આગામી ઈરાની કપ ટ્રોફી માટે યોજાશે. આ મૅચમાં એ પણ જોવા મળશે કે પાર્થિવ પટેલ અને વૃદ્ધિમાન સહામાંથી સારો વિકેટકીપર કોણ હશે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી નૅશનલ સિલેક્શન કમિટી માટે પણ ભારતની આગામી પાંચ ટેસ્ટ માટે વિકેટકીપરની પસંદગી સરળ નહીં હોય.
પાર્થિવ અત્યારે સારા ફૉર્મમાં છે. તેણે મુંબઈ જેવી મજબૂત ટીમ સામે રણજી ટ્રોફીની ફાઇનલમાં ૯૦ અને ૧૪૩ રન બનાવીને ગુજરાતને પ્રથમ વખત રણજી ટ્રોફી જિતાડી હતી. બીજી તરફ ઈજામાંથી સારો થયેલો સહા પણ વાપસી માટે ઉત્સુક છે. સહા કૅપ્ટન કોહલીની પણ પહેલી પસંદ છે. ધોનીએ પણ કહ્યું હતું કે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાં પહેલાં જ ખબર હતી કે સહા હવે વિકેટકીપિંગ માટે તૈયાર છે.
સહા ઈજાગ્રસ્ત થવાને કારણે પાર્થિવે આઠ વર્ષ બાદ વાપસી કરતા ઇંગ્લૅન્ડ સામે ત્રણ ટેસ્ટમાં બે હાફ-સેન્ચુરી ફટકારીને પોતાના સારા ફૉર્મની ઝલક દેખાડી હતી. જોકે પાર્થિવ પોતાની સહા વચ્ચે થનારી સરખામણીને નથી માનતો. તેના મતે આ બે ટીમો વચ્ચેની મૅચ છે જેમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાનો કૅપ્ટન ચેતેશ્વર પુજારા છે.