શ્રીલંકાએ જીત સાથે ખોલાવ્યું ટી૨૦ સિરીઝમાં ખાતું
પ્રતીકાત્મક તસવીર
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ગઈ કાલે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ રમાઈ હતી, જેમાં મહેમાન ટીમે બાજી મારીને પોતાની જીતનું ખાતું ખોલાવ્યું હતું. પાકિસ્તાન સામે કરાચીમાં વન-ડે સિરીઝ ગુમાવી ચૂકેલી શ્રીલંકન ટીમે આ મૅચ ૬૪ રન સાથે જીતી લીધી છે. પહેલાં બૅટિંગ કરી શ્રીલંકાએ પાકિસ્તાનને ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સામે નબળી શરૂઆત કરી પાકિસ્તાનના ટૉપના બે પ્લેયર બાબર આઝમ અને ઉમર અકમલ નુવાન પ્રદીપના શિકાર બન્યા હતા. નુવાન પ્રદીપે અને ઇસુરુ ઉદાનાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. એક સમયે સરફરાઝ અહમદ અને ઇફ્તીખાર અહમદે ટીમની પારી સંભાળી રાખી હતી અને બન્ને અનુક્રમે ૨૪ અને ૨૫ રન કરી આઉટ થયા હતા. જોકે ૧૦૧ રન સુધી પહોંચતાં જ યજમાન ટીમે પોતાની બધી વિકેટ ગુમાવી દીધી હતી અને શ્રીલંકા ૬૪ રનથી મૅચ જીતી ગયું હતું.
આ પણ વાંચો : મુરલીધરનની ટેસ્ટ-વિકેટના રેકૉર્ડની બરાબરી કરવામાં અશ્વિન એક વિકેટ દૂર
ADVERTISEMENT
પાકિસ્તાને પહેલાં ટૉસ જીતીને મહેમાન ટીમને બૅટિંગનું આમંત્રણ આપ્યું અને તેમણે સારી શરૂઆત કરીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૫ રન બનાવ્યા હતા. શ્રીલંકાના દનુષા ગુનાથિલકાએ સૌથી વધુ ૫૭ રન બનાવ્યા હતા. જોકે પાકિસ્તાની બોલર મોહમ્મદ હસને ચાર ઓવરમાં ૩૭ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જોકે તે ૧૯મી ઓવરની શરૂઆતના બે બૉલમાં બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, પણ એને હૅટટ્રિકમાં કન્વર્ટ નહોતો કરી શક્યો. બન્ને ટીમ વચ્ચેની બીજી ટી૨૦ મૅચ ૭ ઑક્ટોબરે રમાશે. આ સિરીઝમાં શ્રીલંકા ૧-૦ની લીડથી આગળ છે.