કોઈ ધર્મ નહીં, કોઈ જાતિ નહીં, ફક્ત માનવતા : હરભજન સિંહ
સોશ્યલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યો હોવાથી હરભજન સિંહે કહ્યું કે ધર્મ અને જાતિ પહેલાં માનવતા આવે છે. કોરોના વાઇરસના હાલના વાતાવરણમાં શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનને મદદ કરવા માટે લોકોને અપીલ કરનારા હરભજન સિંહ અને યુવરાજ સિંહને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. વિડિયોમાં સિખો ઇંગ્લૅન્ડમાં જરૂરિયાતમંદો માટે ખાવાનું બનાવી રહ્યા છે અને એનું વિતરણ પણ કરી રહ્યા છે. આ વિડિયો અપલોડ કરી હરભજને લખ્યું કે ‘કોઈ ધર્મ નહીં, કોઈ જાતિ નહીં, ફક્ત માનવતા... જે છે એ આ છે... ઘરે રહો સુરક્ષિત રહો... પ્રેમ ફેલાવો, નફરત અને વાઇરસ નહીં... દરેક વ્યક્તિ માટે પ્રાથર્ના કરો. મારા વાહેગુરુ બધાને આશીર્વાદ આપે.’
જોકે આ પહેલાં યુવરાજે પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન માટે અપીલ કરી એમાં કોઈની ભાવનાને નુકસાન પહોંચાડવાનો ઇરાદો ન હતો, પણ લોકોની મદદ કરવાનો જ હતો. ટ્વીટ કરી યુવરાજે લખ્યું કે ‘મને ખબર નથી પડતી કે લોકોને મદદ કરવાના મેસેજનો ભાવાર્થ લોકો આટલો બધો કેમ બદલી નાખતા હશે. હું ફક્ત એટલું કહેવા માગતો હતો કે આપણે આપણા પોતપોતાના દેશના લોકોની સાર-સંભાળ રાખીએ અને તેમને સંપૂર્ણ માત્રામાં હેલ્થકૅર ઉપલબ્ધ કરાવીએ. મારો ઇરાદો કોઈની ભાવનાને ઠેંસ પહોંચાડવાનો નહોતો.’