ઇંગ્લૅન્ડ સામેની વન-ડે ટીમમાં અશ્વિનને પાછો લાવો : બ્રૅડ હૉગ
બ્રૅડ હૉગ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર બ્રૅડ હૉગે ગઈ કાલે રવિચંદ્રન અશ્વિન સંદર્ભે પોતાના વિચાર રજૂ કરતાં ટીમ ઇન્ડિયાને સલાહ આપી હતી કે ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે ટીમમાં રવિચંદ્રન અશ્વિનને રમાડવો જોઈએ. તેણે અશ્વિનની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ વાત કહી હતી.
વાસ્તવમાં સોશ્યલ મીડિયામાં એક ચાહકે હૉગને પ્રશ્ન કર્યો હતો કે શું ભારતે વન-ડે સિરીઝમાં અશ્વિનને રમાડવો જોઈએ કે નહીં? આ વિશે પોતાના વિચાર પ્રગટ કરતાં બ્રૅડ હૉગે કહ્યું કે ‘મારા ખ્યાલથી એ એક સારો વિકલ્પ બની શકે છે. તેના ટીમમાં સમાવેશથી ટૉપ ઑર્ડર વધારે આક્રમક રીતે રમી શકશે અને બોલિંગમાં પણ તે સારી એવી ઇકૉનૉમી સાથે વિકેટ લઈ શકે છે. તેને ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં પાછો લાવો.’
ઉલ્લેખનીય છે કે અશ્વિન છેલ્લે ૨૦૧૭ જુલાઈમાં ટીમ ઇન્ડિયા માટે લિમિટેડ ઓવરની મૅચ રમ્યો હતો. ૧૧૧ વન-ડે અને ૪૬ ટી૨૦માં તેણે ભારત માટે અનુક્રમે ૧૫૦ અને બાવન વિકેટ મેળવી છે. આ ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ તે સારું પ્રદર્શન કરી રમતો જોવા મળે છે. ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મૅચમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.