2021 ટી20ના હૉસ્ટિંગ રાઇટ્સ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને આપવા નથી ઇચ્છતું BCCI
સૌરવ ગાંગુલી
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને વિશ્વાસ છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) આખરે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપના ભાવિ વિશે આજે થનારી કૉન્ફરન્સ દરમિયાન નિર્ણય લેશે. 2020 ટી20 વર્લ્ડ કપનું ભવિષ્ય નક્કી નથી ત્યાં એવી ચર્ચા ચાલી રહી છે કે ૨૦૨૧માં ભારતમાં થનારો ટી20 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયામાં યોજવામાં આવશે અને ૨૦૨૦નું ઍડિશન ૨૦૨૨માં ભારતમાં યોજવામાં આવશે. જોકે આ વિશે બીસીસીઆઇ જરાપણ ફેરફાર કરવા તૈયાર નથી. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે થનારા કૉન્ફરન્સ કૉલમાં અમને ટી20 વર્લ્ડ કપ વિશે ક્લિયર પિક્ચર મળવાની સંભાવના છે, કારણ કે આટલા મોટા ઇવેન્ટને તમે વારંવાર મોકૂફ ન કરી શકો. હાલમાં ૨૦૨૦ અને ૨૦૨૨માં ટી20 વર્લ્ડ કપ યોજવાના રાઇટ્સ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પાસે છે. જો આ વર્ષે તેઓ આ ટુર્નામેન્ટનું આયોજન ન કરી શકે તો તેમને ૨૦૨૨માં તક મળશે. ઑસ્ટ્રેલિયાની ટૂર પણ વર્ષના અંતમાં કદાચ સંભવ થઈ શકે છે. આ ઉપરાંત આઇપીએલ રમાશે કે નહીં એ વિશે વાત કરતાં બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે ‘એ ટુર્નામેન્ટ યોજાવાનું સંપૂર્ણપણે પરિસ્થિતિ પર આધાર રાખે છે. જો પરિસ્થિતિ કન્ટ્રોલમાં હશે તો આઇપીએલ ચોક્કસ રમી શકાશે. જોકે કોઈ પણ નિર્ણય સરકારના નિર્ણય પર આધારિત છે. અમે સપ્ટેમ્બર એન્ડ અથવા તો નવેમ્બરની શરૂઆતના ગાળાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ.’