થૂંક લગાડવું મારા માટે નૅચરલ છે: અશ્વિન
ઇન્ડિયન સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું કહેવું છે કે બૉલ પર થૂંક લગાડવું એ મારા માટે નૅચરલ છે. તાજેતરમાં આઇસીસીની ક્રિકેટ કમિટીએ બૉલ પર થૂંક લગાડવાના વિકલ્પ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. અશ્વિને કહ્યું કે ‘ખબર નહીં ક્યારે મેદાનમાં જવા મળશે. બૉલ પર થૂંક લગાડવું મારા માટે નૅચરલ છે. બૉલ પર થૂંક ન લગાડવાની પ્રૅક્ટિસ કરવી પડશે. જોકે મારા ખ્યાલથી આપણે રમવું હોય તો આ વાતને સ્વીકારવી પડશે.’
છેલ્લા કેટલાક સમયથી બૉલ પર થૂંક લગાડવાના મુદ્દે વિવિધ ચર્ચાવિચારણા થઈ રહી છે. આઇસીસીની ક્રિકેટ કમિટીએ બૉલ પર થૂંકને બદલે પસીનો લગાડવા સામે હજી સુધી કોઈ વાંધો નથી ઉપાડ્યો.
ADVERTISEMENT
જ્યારે, ઑસ્ટ્રેલિયન ક્રિકેટ પ્લેયર પૅટ કમિન્સનું કહેવું છે કે જો આપણે બૉલ પર થૂંક લગાડવાનું બંધ કરી દઈએ તો અન્ય કોઈ વિકલ્પ શોધવો જ રહ્યો. કોરોના વાઇરસને કારણે છેલ્લા લાંબા સમયથી બૉલ પર થૂંક લગાડવાનો વિવાદ ચર્ચામાં છે. કમિન્સે કહ્યું કે ‘જો આપણે થૂંક કાઢી નાખીએ તો અન્ય વિકલ્પ શોધવા રહ્યા. પસીનો ખરાબ નથી, પણ મારા ખ્યાલથી આપણને એનાથી વિશેષ કોઈ વિકલ્પ જોઈશે. કદાચ વૅક્સ કે બીજું કંઈ અથવા મને નથી ખબર. વિજ્ઞાન કહે છે એટલે આપણે આ વાતનો વિકલ્પ શોધવો જ પડશે. મારા ખ્યાલથી પસીનાથી કામ ચાલી જવું જોઈએ. આપણું સ્પેલ શરૂ થાય ત્યારથી આપણે બૉલ પર પસીનો લગાડવાનું શરૂ કરી દેવું જોઈએ.’