ધોનીએ ફક્ત 30 લાખ કમાઈને રાંચીમાં શાંતિથી લાઇફ પસાર કરવી હતી: જાફર
ધોની અને જાફર
ભૂતપૂર્વ ઇન્ડિયન ઓપનર અને ડોમેસ્ટિક લેજન્ડ વસીમ જાફરનું કહેવું છે કે કરીઅરની શરૂઆતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફક્ત ૩૦ લાખ રૂપિયા કમાવા હતા. વસીમ જાફર હાલમાં ટ્વિટર પર ચાહકોના સવાલના જવાબ આપી રહ્યો હતો. એક ચાહકે ધોની સાથેની બેસ્ટ મેમરી જણાવવા વિશે કહેતાં વસીમ જાફરે કહ્યું હતું કે ‘ઇન્ડિયન ટીમમાં રમવાનું શરૂ કર્યાના પહેલા અથવા બીજા વર્ષમાં ધોનીએ મને કહ્યું હતું કે તે ક્રિકેટ રમીને ફક્ત ૩૦ લાખ રૂપિયા કમાવા માગે છે જેથી તે રાચીમાં શાંતિથી બાકીની લાઇફ જીવી શકે.’
ધોની અત્યાર સુધીમાં ઇન્ડિયા માટે ૯૦ ટેસ્ટ, ૩૫૦ વન-ડે અને ૯૮ ટી૨૦ મૅચ રમી ચૂક્યો છે. તે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપનો અને ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપનો કૅપ્ટન રહી ચૂક્યો છે. ગયા વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ સામે સેમી ફાઇનલમાં હારી ગયા બાદ ધોની બ્રેક પર છે. ઇન્ડિયન ટીમમાં હવે તેનું ભવિષ્ય નહીંવત્ છે એવું એક્સપર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેની જગ્યાએ લિમિટેડ ઓવરમાં કે. એલ. રાહુલ અને રિષભ પંતમાંથી એક પર વિકેટકીપિંગની જવાબદારી આપવાની વાત છે. આ વિશે પૂછતાં વસીમ જાફરે કહ્યું હતું કે ‘જો ધોની ફિટ ઍન્ડ ફાઇન હોય તો આપણે તેના સિવાય બીજા પર્યાયને શોધવાની જરૂર નથી. સ્ટમ્પ્સની પાછળ તે ખૂબ મોટી ઍસેટ છે અને લોઅર ડાઉનમાં પણ તે ટીમને ખૂબ સારી રીતે હૅન્ડલ કરે છે. તેને રમાડવાથી રાહુલ પરથી વિકેટકીપિંગનું પ્રેશર લઈ શકાય છે તેમ જ પંતને પણ લેફટ-હૅન્ડ બૅટ્સમૅન તરીકે રમાડી શકાય છે.