રોહિત અને ધોની એવા કૅપ્ટન છે જેમને સાંભળવું ગમે છે : સુરેશ રૈના
સુરેશ રૈના
ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર્સ સુરેશ રૈનાનું કહેવું છે કે પોતાના લીડરશીપ નૉલેજને કારણે રોહિત શર્મા નેક્સ્ટ એમ. એસ. ધોની બની શકે છે. રોહિત શર્મા આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપરકિંગ્સની કમાન સંભાળે છે અને આ બન્ને ટીમ એકબીજાની જબરદસ્ત પ્રતિસ્પર્ધી છે. રોહિતનાં વખાણ કરતાં સુરેશ રૈનાએ કહ્યું કે ‘મારા ખ્યાલથી ભારતીય ક્રિકેટ ટીમનો નેક્સ્ટ મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્મા છે. મેં તેને જોયો છે, તે ઘણો શાંત છે અને તેને સાંભળવું ગમે છે. સૌથી અગત્યનું તો એ કે તે પ્લેયરોમાં આત્મવિશ્વાસ જગાડી શકે છે. જ્યારે કૅપ્ટન ટીમને લીડ કરતો હોય છે ત્યારે ડ્રેસિંગ રૂમનો માહોલ પણ બનાવી રાખવો જરૂરી હોય છે. દરેક પ્લેયર કૅપ્ટન છે એવો તેનો વિચાર હોય છે. હું તેના નેતૃત્વમાં એશિયા કપમાં રમ્યો છું. મને ખબર છે તે શાર્દુલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલ જેવા પ્લેયરોને કઈ રીતે કૉન્ફિડન્સ આપે છે. તેની સાથેના પ્લેયરો તેની સાથે હોવાનું પસંદ કરે છે. તેના વિચારોમાં, તેની વાતોમાં ઘણી પૉઝિટિવિટી હોય છે અને એટલે જ મને લાગે છે કે તે ભારતીય ક્રિકેટ ટીમનો બીજો મહેન્દ્ર સિંહ ધોની છે. તેઓ બન્ને કૅપ્ટન રહી ચૂક્યા છે અને તે બન્નેને સાંભળવું ગમે છે. જ્યારે કોઈ કૅપ્ટન તમારી વાત સાંભળે છે ત્યારે તમારી તકલીફોનું તે સમાધાન પણ કરી શકે છે. મારા માટે આ બન્ને કૅપ્ટન વન્ડરફુલ છે.’