૧૪ એપ્રિલ પછી પણ કોરોના સામે આપણે હથિયાર નથી મૂકવાનાં:સચિન તેન્ડુલકર
સચિન તેંદુલકર (ફાઇલ ફોટો)
વડા પ્રધાને દેશના સ્પોર્ટ્સ પર્સનને ગઈ કાલે આગળ આવીને દેશની જનતાને જાગરૂક કરવાની વાત કહી હતી ત્યાર બાદ સચિન તેન્ડુલકરે વડા પ્રધાન સાથે વાત કરી હતી. આ વાત વિશે વાત કરતાં તેન્ડુલકરે કહ્યું કે ‘શ્રી નરેન્દ્ર મોદીજી અને શ્રી કિરણ રિજિજુ તેમ જ અન્ય સ્પોર્ટ્સ પર્સન સાથે વાત કરવાની મને તક મળી અને મેં તેમના વ્યક્તિગત મત પણ જાણ્યા અને સાથે-સાથે મેં તેમને એ પણ જણાવ્યું કે આ લૉકડાઉનના સમયમાં લોકોને કેવી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયમાં વડીલોનું ધ્યાન રાખવું જરૂરી છે અને સાથે સાથે તેમની પાસેથી આ ગાળામાં ઘણું બધું શીખવા પણ મળી શકે છે. તેમના અનુભવ, તેમની પાસેથી વાર્તા સાંભળવા મળી શકે છે. મોદીજીએ કહ્યું કે ૧૪ એપ્રિલ પછી પણ આપણે આપણાં હથિયાર હેઠાં મૂકવાનાં નથી અને જે પ્રમાણે આપણે હાલમાં લડત ચલાવી રહ્યા છે એ પ્રમાણે આગામી દિવસોમાં પણ ચલાવતા રહીશું. અમે આ ઉપરાંત શારીરિક મજબૂતી અને માનસિક મજબૂતીની પણ વાત કરી અને એ માટે મેં મારા પર્સનલ અનુભવ પણ તેમને કહી સંભળાવ્યા. આ એવો સમય છે જેમાં દરેક દેશવાસીએ આગળ આવવાની અને એકબીજાને મોટિવેટ કરતા રહેવાની જરૂર છે. ટીમ-સ્પિરિટ જે પ્રમાણે મૅચ જિતાડી શકે છે એ પ્રમાણે આપણા દેશે પણ એક ટીમ બનીને આગળ વધવાનું છે અને કોરોનાને હરાવવાનો છે.