ગ્રુપ-સ્ટેજમાં ચારેચાર મૅચ જીતીને સેમી ફાઇનલમાં પહોંચ્યું ભારત
રાધા યાદવ
મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ટીમ એક પણ મૅચ હાર્યા વિના સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગ્રુપ ‘એ’માં ઇન્ડિયાની છેલ્લી મૅચ શ્રીલંકા સામે રમાઈ હતી, જેમાં રાધા યાદવે જોરદાર પર્ફોર્મ કર્યું હતું. ઇન્ડિયા ૭ વિકેટે આ મૅચ જીતી ગયું હતું. શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને ૯ વિકેટે ૧૧૩ રન કર્યા હતા, જેમાં સૌથી વધુ ૩૩ રન કૅપ્ટન ચમારી અટાપટ્ટુએ કર્યા હતા. શ્રીલંકાને રાધા યાદવે ખૂબ પરેશાન કર્યું હતું અને ચાર ઓવરમાં ૨૩ રન આપીને ચાર વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડે બે વિકેટ તેમ જ દીપ્તિ શર્મા, શિખા પાન્ડે અને પૂનમ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
ઇન્ડિયાની ટીમે ૧૪.૪ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૧૬ રન કરીને મૅચ જીતી લીધી હતી. શેફાલી વર્મા ૩૪ બૉલમાં ૪૭ રન કરીને આઉટ થઈ હતી. આ મૅચમાં તેણે સૌથી વધુ રન કર્યા હતા. સ્મૃતિ મંધાના ૧૭ રન કરીને આઉટ થઈ હતી. ત્યાર બાદ હરમનપ્રીત કૌર પણ ૧૫ રન કરીને આઉટ થઈ હતી. જેમિમાહ રૉડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ ૧૫-૧૫ રન કરીના ટીમને જિતાડી હતી. રાધાએ સૌથી વધુ વિકેટ લીધી હોવાથી તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.