ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતને લાગ્યો મોટો ઝટકો
લોકેશ રાહુલ
બીજી ટેસ્ટ જીતીને ફૉર્મમાં આવી ગયેલી ભારતીય ટીમને ત્રીજી ટેસ્ટના બે દિવસ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બૅટ્સમૅન લોકેશ રાહુલ ગઈ કાલે મેલર્બનમાં પ્રૅક્ટિસ વખતે કાંડામાં મોચ આવી જતાં બાકીની બન્ને ટેસ્ટમાં નહીં રમી શકે. પહેલી બન્ને ટેસ્ટમાં રાહુલને મોકો નહોતો મળ્યો, પણ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો મયંક અગરવાલ અને હનુમા વિહારીને ડ્રૉપ કરીને રોહિત શર્મા સાથે રાહુલનો પણ ટીમમાં સમાવેશ કરવાનો મત વ્યક્ત કરી રહ્યા હતા, પણ રાહુલ બે દિવસ પહેલાં જ એ રેસમાંથી આઉટ થઈ ગયો છે. સિરીઝમાંથી મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ બાદ ઇન્જરીને લીધે આઉટ થનાર રાહુલ ત્રીજો ખેલાડી બન્યો છે.
રાહુલને ફિટ થતાં આશરે ત્રણેક અઠવાડિયાં લાગશે એવું માનવામાં આવી રહ્યું છે. ઘરઆંગણે આગામી ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટે તે ડાઉટફુલ લાગી રહ્યો છે. રાહુલ ભારત પાછો આવીને બૅન્ગલોર સ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં રીહૅબ શરૂ કરશે.
ADVERTISEMENT
...તો મુશ્કેલી થઈ શકે ભારતને
ચોથી અને છેલ્લી ટેસ્ટ ૧૪ જાન્યુઆરીથી શરૂ થવાની હોવાથી રાહુલનો કોઈ રિપ્લેસમેન્ટ લઈ શકાય એમ નથી, કેમ કે જે ખેલાડી ઑસ્ટ્રેલિયા જશે તેને ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવું પડશે અને ત્યાં સુધી સિરીઝ પૂરી થઈ જશે. જો રોહિત શર્મા, રિષભ પંત અને શુભમન ગિલને ત્રીજી ટેસ્ટમાં રેસ્ટોરાંના પરાક્રમને લીધે રમવા ન મળે તો ભારત માટે મુશ્કેલી વધી જશે, કેમ કે કન્કશન રિપ્લેસમેન્ટ કે કોરોના રિપ્લેસમેન્ટની વેળા આવી પડી તો ભારત પાસે ઓપનર કે વિકેટકીપર-બૅટ્સમેનનો વિકલ્પ કોઈ નહીં રહે.
સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે ત્રીજા પેસર તરીકે શાર્દુલ કે સૈની?
ઑસ્ટ્રેલિયા સામે આવતી કાલથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયા કયા પેસર સાથે મેદાનમાં ઊતરે છે એ તેમને માટે મૂંઝવણભર્યો પ્રશ્ન બનીને ઊભો છે. ટીમ ઇન્ડિયા ત્રીજા પેસર તરીકે ઈજાગ્રસ્ત ઉમેશ યાદવની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપે કે નવદીપ સૈનીને એ વિશે અંતિમ નિર્ણય લેવામાં મૂંઝવણમાં છે. ઓપનર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં છેલ્લી આઠ ટેસ્ટ ઇનિંગ્સથી નબળું પ્રદર્શન કરી રહેલા મયંક અગરવાલના સ્થાને રોહિત શર્મા રમશે એ ઑલમોસ્ટ નક્કી છે. રોહિતને ટીમના વાઇસ કૅપ્ટન તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હોવાથી આ વાત વધારે મજબૂત બની જાય છે.