સિલેક્ટરનો ફોન આવ્યો ને લક્ષ્મણની કરીઅર પર પડદો પડવાની શરૂઆત થઈ
હૈદરાબાદ: સિલેક્ટરોએ વીવીએસ લક્ષ્મણને ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેના ખરાબ પર્ફોમન્સ પછી પણ તેને હોમટાઉન હૈદરાબાદમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમૅચ રમવાનો તેમ જ ખાસ કરીને આખી સિરીઝ રમવાનો મોકો આપ્યો છતાં તેણે ઓચિંતી નિવૃત્તિ લઈ ઉગ્ર ચર્ચાને જન્મ આપ્યો છે.
કિવીઓ સામેની સિરીઝ માટેની ટીમમાં લક્ષ્મણને સ્થાન આપવામાં આવ્યું ત્યાર બાદ કેટલાક જાણીતા ભૂતપૂર્વ પ્લેયરોએ લક્ષ્મણ વિશે કમેન્ટ કરી હતી કે તે યુવાન અને આશાસ્પદ પ્લેયરની જગ્યા રોકીને બેઠો છે. આ ટિપ્પણીથી વ્યથિત થઈને લક્ષ્મણે નિવૃત્તિનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. જોકે ગઈ કાલે ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિ પાસેથી મળેલી માહિતી મુજબ આ પીઢ બૅટ્સમૅને એક સિલેક્ટરના ફોન પરની વાતચીત પછી નિવૃત્તિ લેવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલાં સિલેક્ટરોએ કિવીઓ સામેની ટેસ્ટસિરીઝ માટેની ટીમમાં લક્ષ્મણને સ્થાન આપ્યું ત્યાર બાદ એક સિલેક્ટરે ફોન કરીને તેને કહ્યું હતું કે તારી આ છેલ્લી સિરીઝ છે અને આને તું ફેરવેલ સિરીઝ ગણીને જ ચાલજે.
ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી જાણકારી મુજબ લક્ષ્મણને સિલેક્ટરના આ વિધાનથી આઘાત લાગ્યો હતો અને તેણે પ્રથમ ટેસ્ટ રમવાને બદલે એ પહેલાં રિટાયરમેન્ટ જાહેર કરીને માથું ઊંચુ રાખીને વિદાય લેવાનું અને સિલેક્ટરોને જડબાતોડ જવાબ નક્કી કરી લીધું હતું.
ચીફ સિલેક્ટર તરીકે કૃષ્ણમાચારી શ્રીકાન્તનો આ છેલ્લો મહિનો છે. તેમની સિલેક્શન કમિટીના બીજા ચાર સિલેક્ટરોમાં મોહિન્દર અમરનાથ, નરેન્દ્ર હિરવાણી, સુરેન્દ્ર ભાવે અને રાજા વેન્કટનો સમાવેશ છે.
દ્રવિડે પણ સિલેક્ટરોને લપડાક મારેલી
સિલેક્ટરોની ગૂંચવણભરી નીતિની સૌરવ ગાંગુલીએ શનિવારે લક્ષ્મણની નિવૃત્તિ પછી ખૂબ ટીકા કરી હતી.
થોડા મહિના પહેલાં સિલેક્ટરોએ ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની વન-ડે ટીમમાં રાહુલ દ્રવિડને સ્થાન આપીને આશ્ચર્ય સરજ્યું હતું.
અગાઉ જ્યારે દ્રવિડ સારું પર્ફોમ કરતો હતો ત્યારે સિલેક્ટરો વન-ડે ટીમમાંથી તેની બાદબાકી કરતા રહ્યા હતા. જોકે ગયા વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તેને ટેસ્ટક્રિકેટના પર્ફોમન્સને આધારે વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બે વર્ષથી તે વન-ડે નહોતો રમ્યો છતાં તેને વન-ડે ટીમમાં સામેલ કર્યો હતો. તેમના આ નિર્ણયનો લાભ લઈને દ્રવિડે તરત જ વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
બોર્ડપ્રમુખને જાણ હતી
લક્ષ્મણ કિવીઓ સામેની બે ટેસ્ટની સિરીઝ પહેલાં જ રિટાયર થઈ જવાનો છે એની જાણ બોર્ડપ્રમુખ એન. શ્રીનિવાસનને હોવાનું બોર્ડસેક્રેટરી સંજય જગદાળેએ ગઈ કાલે કહ્યું હતું