વિરાટ કોહલીના આ જવાબથી થઈ શકે છે વિવાદ
ફાઈલ ફોટો
ઑસ્ટ્રેલિયામાં સિડનીમાં થનારી પહેલી વન ડે મેચની પહેલા ટીમ ઈન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ રોહિત શર્મા (Rohit Sharma)ના મુદ્દે જે વાત કરી તેનાથી ફૅન્સ પણ અચંબામાં મૂકાયા છે.
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા કેમ નથી આવ્યો તે તેને ખબર નથી. કોહલીએ કહ્યું કે તેને એવું લાગ્યું હતુ કે ઑસ્ટ્રેલિયા પ્રવાસની ફ્લાઇટમાં રોહિત શર્મા પણ તેની સાથે હશે. આઈપીએલ પુરી થયા બાદ રોહિત શર્મા મુંબઈ આવી ગયો હતો અને ટીમ ઇન્ડિયાએ ત્યાંથી ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઉડાન ભરી હતી.
ADVERTISEMENT
અગાઉ બીસીસીઆઈએ કહ્યું હતું કે રોહિત શર્મા ફિટ નથી અને તેથી જ તેને આ કારણે વનડે અને ટી- 20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું નથી. જોકે હવે વિરાટ કોહલીએ રોહિત શર્માના મુદ્દે મોટી વાત કહી છે.
સિડની વનડે પહેલા વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને લગતા સવાલ પર વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “રોહિત શર્માને પસંદગી સમિતિની બેઠક પૂર્વે કહેવામાં આવ્યું હતું કે તેને મોટી ઈજા થઈ શકે છે અને તેથી તેને ઓસ્ટ્રેલિયા વનડે અને ટી 20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો નથી.”
કોહલીએ ઉમેર્યું કે, પરંતુ આ પછી રોહિત શર્મા આઈપીએલમાં રમતો દેખાયો, આવી સ્થિતિમાં મને લાગ્યું કે હવે તે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર અમારી સાથે જ ચાલશે પરંતુ તે બન્યું નહીં. અમને રોહિત શર્મા મુદ્દે કોઈ માહિતી આપવામાં આવી નથી. કોહલીએ કહ્યું, “પસંદગી સમિતિની બેઠક પહેલાં અમને એક ઇમેઇલ મળ્યો હતો કે તે ઉપલબ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએલ દરમિયાન તેને ઈજા થઈ હતી. આમાં કહેવામાં આવ્યું છે કે તેને ઈજાને લગતી માહિતી આપવામાં આવી છે અને તે સમજી ગયો છે અને તે ઉપલબ્ધ રહેશે નહીં.
હાલ રોહિત શર્મા પગના માંસપેશીઓની ઈજાથી સાજો થઈ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશનથી પસાર થઈ રહ્યો છે અને સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે હજી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે પરંતુ 14 દિવસની તાલીમ લીધા વિના તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. કોહલીએ કહ્યું કે, અમને કોઈ સૂચના નહોતી આપવામાં આવી કે અમારી સાથે યાત્રા કેમ નથી કરી રહ્યો. કોઈ સૂચના નહોતી, સ્પષ્ટતાની કમી હતી. અમે રાહ જોઇ રહ્યા છીએ.