ચાર દિવસની ટેસ્ટના પ્રસ્તાવ સામે કોહલી અસહમત
ભારત-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ પહેલાં વિરાટ કોહલીએ ગઈ કાલે ગુવાહાટીમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ-કૉન્ફરન્સમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ટેસ્ટ મૅચને ચાર દિવસની બનાવવાનો પ્રશ્ન કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના પર તેણે પોતાની અસહમતી દર્શાવી હતી.
આ મુદ્દે વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘મારા મતે આ ફેરફાર ન થવો જોઈએ. મેં કહ્યું હતું એ પ્રમાણે ટેસ્ટ ક્રિકેટનું વધારે વ્યાપારીકરણ કરવા માટે ડે-નાઇટ મૅચ એક સારો વિકલ્પ છે. એ લોકોમાં એક ઉત્સાહ પેદા કરે છે, પણ એને વધારે ટૂંકાવવી મારા મતે યોગ્ય નથી.’
આ ઉપરાંત કોહલીએ એમ કહ્યું હતું કે જો આપણે ટેસ્ટ મૅચમાં એક દિવસ ઘટાડીને એને ચાર દિવસની કરીશું તો પછી લોકો ત્રણ દિવસની ટેસ્ટ મૅચની વાતો કરવા માંડશે.