પીટરસનની બોર્ડ સમક્ષ ખુલ્લી શરત : આખી આઇપીએલ રમવા દેવી પડશે
લંડન: ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટ્સમૅન કેવિન પીટરસને ૧૬ ઑગસ્ટથી લૉર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે શરૂ થતી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પછી ઇંગ્લૅન્ડને અલવિદા કરી દેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. આ સંકેત આપવા પાછળ પીટરસનનો મૂળ હેતુ તો આઇપીએલની આગામી આખી સીઝનમાં તેને રમવાની છૂટ જોઈએ છે. પીટરસને બોર્ડને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હોવાનું માનવામાં આવે છે કે જો તેની આ માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તે ટેસ્ટ રમવાનું છોડી દેશે. જોકે ક્રિકેટ બોર્ડ બધા પ્લેયરો માટે એકસરખો નિયમ રાખવા માગતું હોવાથી તેની કોઈ રીતે ફેવર કરવા નથી માગતું.
ADVERTISEMENT
આગામી આઇપીએલ સીઝન દરમ્યાન ઇંગ્લૅન્ડ ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે રમવાનું છે અને પીટરસન એ સિરીઝમાં રમવા નથી માગતો. તે આઇપીએલની આખી સિરીઝ રમવા માગે છે.
સાઉથ આફ્રિકામાં જન્મેલો ઇંગ્લૅન્ડનો આ પીઢ બૅટ્સમૅન વન-ડે અને T20 ઇન્ટરનૅશનલને ગુડબાય કરી ચૂક્યો છે, પણ આવતા મહિને શરૂ થતા વ્૨૦ વલ્ર્ડ કપમાં તે રમવા માગતો હતો. જોકે ક્રિકેડ બોર્ડે તેનો સમાવેશ આ વલ્ર્ડ કપ માટેના ૩૦ સંભવિત ખેલાડીઓમાં ન કરતાં તે નારાજ થયો છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં ૦-૧થી પાછળ અને ટેસ્ટમાં નંબર વનનો તાજ બચાવવા ઝઝૂમી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ પીટરસનની આ ધમકીથી વધુ દબાણમાં આવી હશે અને એની અસર આગામી મહત્વની ટેસ્ટમાં જોવા મળી શકે.
જોકે ઇંગ્લૅન્ડવાસીઓ માને છે કે પીટરસન ટેસ્ટ-ક્રિકેટ છોડવાની ધમકી આપીને ટીમને બાનમાં રાખી રહ્યો છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયનો આ પ્રકરણથી ખૂબ ખુશ છે. આગામી ઍશિઝ સિરીઝમાં આને લીધે તેમની ટીમની જીતના ચાન્સિસ ઊજળા દેખાવા લાગ્યા છે.
આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ