ધોનીના સપોર્ટને લીધે હું આટલી બધી વન-ડે રમી શક્યો : કેદાર
ફાઈલ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના બૅટ્સમૅન કેદાર જાદવનું કહેવું છે કે તેને આટલી બધી વન-ડે રમવા મળી એની પાછળ મહેન્દ્ર સિંહ ધોનીનો મજબૂત સપોર્ટ હતો. સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ વન-ડે મૅચોની સિરીઝમાંથી કેદારને ડ્રૉપ કરી દેવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર વાત કરતાં કેદારે કહ્યું કે ‘નાનપણમાં દરેક લોકોની જેમ સચિન તેન્ડુલકર મારો આદર્શ હતો અને મને એ વાતનો અફસોસ છે કે હું તેમની સાથે રમી નથી શક્યો. પણ જ્યારે તમારા મનપસંદ ક્રિકેટરની વાત આવે ત્યારે હું મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આપીશ. હું જ્યારે માહીભાઈને પહેલી વાર મળ્યો ત્યારે મને લાગ્યું કે આ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન છે એટલે બહુ સ્ટ્રિક હશે, પણ તેમને મળ્યા પછી મનપસંદ ક્રિકેટરની જે છબિ તમારા મનમાં ઊપસી આવે એવી જ છબિ તેમને માટે મારા મનમાં ઊપસી આવી હતી. હું કદાચ આઠ-દસ વન-ડે રમી શક્યો હોત, પણ માહીભાઈએ મને ઘણો જ સપોર્ટ કર્યો અને એની અસર મારી ગેમ પર જોવા મળી. હું જ્યારે પણ તેમને જોઉં છું ત્યારે મને કૉન્ફિડન્સ આવે છે અને જો તમને તમારા કૅપ્ટન પાસેથી કૉન્ફિડન્સ મળતો હોય તો એ તમારી ગેમ જરૂરથી સુધારવામાં મદદરૂપ થાય છે. મારી પહેલી વન-ડે વિકેટ મને જિમી નીશામને આઉટ કરીને મળી હતી અને જ્યારે એ વિકેટ મળી હતી ત્યારે માહીભાઈએ મને ભરોસો આપ્યો હતો કે હું બોલિંગ કરી શકું છું.’