જયદેવ ઉનડકટે સૌરાષ્ટ્રને પહોંચાડ્યું ફાઇનલમાં
જયદેવ ઉનડકટ
ગુજરાત સામે રમાયેલી રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં સૌરાષ્ટ્રએ ૯૨ રનથી બાજી મારીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મૅચ જીતવાની સાથે તેઓ બીજી વાર ફાઇનલમાં પહોંચ્યા છે. ગયા વર્ષે સૌરાષ્ટ્રને ફાઇનલ મૅચમાં વિદર્ભ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સામેની બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટે સાત વિકેટ લઈને ગુજરાતની ટીમને લગભગ પરાસ્ત કરી દીધી હતી.
બીજી ઇનિંગમાં ૩૨૭ રનનો ટાર્ગેટ ચૅઝ કરવા નીકળેલી ગુજરાતની ટીમ ૨૩૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન અને વિકેટકીપર પાર્થિવ પટેલને ૯૩ રને જ્યારે ચિરાગ ગાંધી ૯૬ રને આઉટ કરવામાં ઉનડકટને સફળતા મળી હતી. ગુજરાતના ચિંતન ગાજાને પણ બીજી ઇનિંગમાં સાત વિકેટ મળી હતી. નવમી માર્ચથી શરૂ થનારી ફાઇનલ મૅચમાં સૌરાષ્ટ્રનો મુકાબલો બંગાળ સામે થશે.