ICC U19 World cup 2020:જાપાનની ટીમ 41 રનમાં ઘર ભેગી,4.5 ઓવરમાં આપણી જીત
ભારત અને જાપાન વચ્ચે દક્ષિણ આફ્રીકાનાં બ્લુમફોનટેનમાં રમાયેલી આઇસીસી અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ 2020ની 11મી લીગ મેચમાં ભારતે ધુંઆધાર જીત મેળવી છે. અંડર 19ના ગ્રુપ એની મેચમાં ભારતીય યુવાનોએ ઝાપનની ટીમને પહેલા 41 રન પર જ હરાવી દીધી અને પછી દસ વિકેટથી સરળતાથી જીત હાંસિલ કરી.
ક્વાટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવા માટે ખેલમાં ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે આ મેચમાં પહેલા ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. કેપ્ટને લીધેલો આ નિર્ણય ત્યારે જ સાચો સાબિત થઇ ગયો હતો જ્યારે ટીમે એક પછી એક સફળતા મેળવવાની શરૂઆત કરી. આ કારણોસર માત્ર 41 રનમાં જાપાનની ટીમ હાંફી ગઇ અને 22.5 ઓવર સુધી જ બેટિંગ કરનારા જાપાની ટીમે બધી વિકેટ ગુમાવી. આટલું જ નહીં ભારત તરફથી તેમાં 19 રન પણ વધારાનાં મળ્યા.
ADVERTISEMENT
ભારતીય ટીમે આ લક્ષ્ય માત્ર 4.5 ઓવરમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના પાર પાડ્યું. યશસ્વી જયસ્વાલે 29 અને કુમાર કુશાગ્રએ 13 રન કર્યા. આ સાથે ભારતીય ટીમ આઇસીસી અંડર 19 ક્રિકેટ વિશ્વ કપની ક્વાટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ બાજુ જાપાનની ટીમને નામે સૌથી ઓછા સ્કોર પર ઓલ આઉટ થવાનો વિક્રમ નોંધાઇ ગયો છે. ભારતે આ પહેલાં શ્રીલંકાની ટીમને 90 રનથી ભોંય ભેગી કરી હતી.
જાપાન તરફથી કોઇપણ બેટ્સમેન નોંધનિય આંકડે પહોંચી જ ન શક્યો, દસ રન સુદ્ધાં ન ફટકારી શક્યો. સૌથી વધારે રન શુ નોગુચી અને કેન્ટ ઓટા ડોબેલે કર્યા હતા, બંન્ને જણે સાત – સાત રન જ કર્યા. જાપાનની આ યુવાન ટીમનાં પાંચ બેટ્સમેનને તો મેદાનમાં ઉતરવાનો ય મોકો ન મળ્યો. ભારતીય ટીમ તરફથી રવિ બિશ્નોઇએ ચાર વિકેટ લીધી તો કાર્તિક ત્યાગીએ 3 વિકેટ પોતાને નામે કરી તો આકાશ સિંહે બે વિકેટ લીધી અને વિદ્યાધ પાટીલને નામ એક વિકેટ નોંધાઇ.
આઇસીસી અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ 2020માં ભારતીય ટીમને ગ્રુપ એમાં સમાવવામાં આવી છે. આ ગ્રુપમાં ભારતે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાની ટીમને હરાવી હતી. આ પછી ભારતનું લક્ષ્ય જાપાનને હરાવવાનું હતું જે તેમને માટે બહુ જ સરળ રહ્યું. છેલ્લા તબક્કામાં ટીમની મેચ 24 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સાથે થશે.