ઇશાંક જગ્ગી અને શાબાઝ નદીમને કારણે ઝારખંડની સ્થિતિ થઈ મજબૂત
નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશનના મેદાનમાં રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં ગુજરાતના પ્રદર્શનને નબળું તો ન કહી શકાય, પરંતુ ઝારખંડે પહેલી ઇનિંગ્સમાં મામૂલી લીડ મેળવતાં માનસિક લીડ મેળવી હતી. ગુજરાતના ૩૯૦ રનના જવાબમાં ઝારખંડે આર. પી. સિંહની ૯૦ રનમાં લીધેલી ૬ વિકેટ છતાં ગઈ કાલે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૪૦૮ રન બનાવ્યા હતા. આ માનસિક લીડની અસર એ હતી કે ઝારખંડના બોલર શાબાઝ નદીમે બીજી ઇનિંગ્સમાં દમદાર બોલિંગ કરતાં ગુજરાતની ત્રણ વિકેટ લીધી અને રમતનો સમય પૂરો થયો ત્યાં સુધી ગુજરાતે ૧૦૦ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
સમિત ગોહેલ (૪૯) અને ભાર્ગવ મેરાઈ (૪૪) પણ આઉટ થઈ ગયા હતા. પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રન કરનાર પ્રિયાંક પંચાલ એક રને રનઆઉટ થયો હતો. કૅપ્ટન પાર્થિવ પટેલ પણ એક રન કરીને આઉટ થયો હતો. સોમવારે પાંચ વિકેટે ૨૧૪ રન બનાવનાર ઝારખંડની ટીમ મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઊતરી હતી જેમાં મહેન્દ્ર સિંહ ધોની પાસેના માર્ગદર્શનનો પણ એને લાભ મળ્યોહતો. ઇશાંક જગ્ગી (૧૨૯)એ શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂતી બક્ષી હતી.
મુંબઈએ તામિલનાડુ પર મેળવી ૧૦૧ રનની લીડ
મુંબઈના કૅપ્ટન આદિત્ય તારે (૮૩), અભિષેક નાયર (૫૮) અને શાર્દુલ ઠાકુર (બાવન) ની ઇનિંગ્સને કારણે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના સ્ટેડીયમમાં રમાયેલી સેમી ફાઇનલ મૅચની પહેલી ઇનિંગ્સમાં ૪૦૬ રન કર્યા હતા. આમ તામિલનાડુએ કરેલા ૩૦૫ રનના જવાબમાં ૧૦૧ રનની લીડ મેળવીને મજબુત સ્થિતિમાં પહોંચી હતી.