ઇંગ્લૅન્ડની કન્ડિશન સાથે ઍડ્જસ્ટ થતા પ્લેયરોને સમય લાગશે : અઝહર અલી
ઇંગ્લૅન્ડ પહોંચેલી પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન અઝહર અલીનું માનવું છે કે ઇંગ્લૅન્ડની કન્ડિશન સાથે ઍડ્જસ્ટ થતા પ્લેયરોને સમય લાગશે. ઇંગ્લૅન્ડ સાથે પાકિસ્તાન ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી૨૦ મૅચ રમશે. આ બન્ને સિરીઝ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ ૧૩ ઑગસ્ટથી રમાશે. અઝહર અલીનું કહેવું છે કે ‘અમે એક લાંબા સમય પછી ક્રિકેટ રમી રહ્યા છીએ એટલે ફૂલ સ્ટ્રેન્થ સાથે રમવું સરળ નથી. અમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. હું ખુશ છું કે અમારી ટીમના પ્લેયર પ્રૅક્ટિસ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તમે કેટલી પ્રૅક્ટિસ કરો છો એ મહત્ત્વનું નથી, પણ કેટલી મૅચ રમો છો એ વધારે મહત્ત્વનું છે. પરિસ્થિતિ મુજબની મૅચમાં તમે જેટલું સારું રમો એટલો વધારે તમારો આત્મવિશ્વાસ મજબૂત બને છે. કપરી પરિસ્થિતિમાં રમવું અમારા માટે ઘણું મહત્ત્વનું છે. અમારા બૅટ્સમેન અને બોલર બન્ને પરિસ્થિતિ પ્રમાણે રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વધારે પડતી હવા બૉલને હેરાન કરી રહી છે, પણ તેઓ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢશે. પ્લેયરોને ઍડ્જસ્ટ થવામાં થોડો સમય લાગશે. અમારા માટે સારી વાત એ છે કે મહિના જેટલો લાંબો સમય મળ્યો હોવા છતાં પ્લેયરો સારા શેપમાં છે.’