આઇએસએલની સફળતા કોરોનાના ડરને ઘટાડશે : સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાદ ગઈ કાલથી ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની શરૂઆત થઈ હતી. એટીકે મોહન બગાન સાથે જોડાયેલા સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે આ સિરીઝ શરૂ થવાથી અન્ય સ્પોર્ટ્સને પુનઃ શરૂ કરવા પ્રેરિત કરી શકાશે. ગાંગુલીએ કહ્યું કે ‘ક્રિકેટ હાલમાં જ સમાપ્ત થયું છે. હવે સમય છે અન્ય સ્પોર્ટ્સનો, હવે સમય છે ફુટબૉલનો. મને હંમેશાં આઇએસએલની ચિંતા રહે છે. મને આ રમત ઘણી ગમે છે, કેમ કે કલકત્તામાં જન્મ્યો હોવાથી નાનપણથી જ મેં અહીં ફુટબૉલ રમાતી જોઈ છે. ક્રિકેટ તો પછી આવી. માટે હું આઇએસએલના શરૂઆતના દિવસોથી એટીકે અને એટીકે મોહન બગાન સાથે જોડાયેલો છું. અમે ત્રણ વાર ચૅમ્પિયન બન્યા છીએ એટલે થોડું વધારે અટેચમેન્ટ છે. કારણ કે તમે સારું રમો અને જીતો એટલે સ્વાભાવિક રીતે અટેચમેન્ટ વધી જાય. ગોવામાં શરૂ થયેલા સેશનમાં બધું વ્યવસ્થિત થાય એવી આશા રાખીએ છીએ. નવું વર્ષ થોડા સમયમાં શરૂ થવાનું છે. જો આઇએસએલ વગર કોઈ દ્વિધાએ યોજાઈ જાય તો એ આપણને સિક્યૉરિટીની અનુભૂતિ કરાવશે, કારણ કે કોરોનાથી બચવા બાયો બબલ બનાવવામાં આવ્યું છે. બબલની અસર આપણે આઇપીએલ દરમ્યાન જોઈ હતી. મારા ખ્યાલથી આ અન્ય સ્પોર્ટ્સને પુનઃ શરૂ થવાની જરૂર પ્રેરણા આપશે.