ઈજાને લીધે ઇશાન્ત ટીમમાંથી છ અઠવાડિયાં માટે બહાર
ઇશાન્ત શર્મા
ન્યુ ઝીલૅન્ડ પહોંચેલી ઇન્ડિયન ટીમની શરૂઆત પહેલાં જ એક માઠા સમાચાર આવ્યા છે. ભારતનો અનુભવી બોલર ઇશાન્ત શર્મા ઈજાને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે અને ડૉક્ટોરે તેને છ અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપી છે. વિદર્ભ વિરુદ્ધ રણજી મૅચમાં ઇશાન્તને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેને ગ્રેડ-3 ઍન્કલ (ઘૂંટી) ટીયર છે અને છ અઠવાડિયાં માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. વિદર્ભ વિરુદ્ધની બીજી ઇનિંગની પાંચમી ઓવરમાં તેને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ચાલી રહેલા ઇન્ડિયન પ્લેયરોમાં હવે ઇશાન્તનો પણ ઉમેરો થયો છે. તેની પહેલાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન ઈજાગ્રસ્ત થયા હતા. આ માટે હજી ભારતીય ક્રિકેટ બોર્ડે કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું.