IPL 2020: ટુર્નામેન્ટ મોડી શરૂ થશે કે ખાલી સ્ટેડિયમમાં રમાશે?
IPL 2020ની ટુર્નામેન્ટ પર કોરોનાનું જોખમ તોળાઇ રહ્યું છે
કોરોનાના ભયને કારણે IPL 2020 પર અસર પડે તેવી પુરી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં
થનારી મેચિઝનાં ટિકીટોના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે અને જલ્દી જ રાજ્ય સરકાર આ અંગે કોઇ જાહેરાત કરે તેવી શક્યતા છે. વળી કોરોનાવાઇરસને WHO વૈશ્વિક કટોકટી જાહેર કરી દીધો છે ત્યારે વિદેશી ખેલાડીઓ મેચિઝ રમવા માટે મુસાફરી કરે તેવી શક્યતાઓ પણ બહુ પાંખી છે.
મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કરેલા વિધાન અનુસાર IPL 2020ની મેચિઝ બંધ બારણે થવી જોઇએ, એટલે કે દર્શકો વિના સ્ટેડિયમમાં મેચ રમાય તેવું પ્લાનિંગ થવું જોઇએ. જો કે આ અંગે આજની સભામાં નિર્ણય લેવાશે તેવું પણ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું. જો કે મેચિઝ પોસ્ટપોન કરવામાં આવે તેવી શક્યતાઓ પણ ચર્ચાઇ રહી છે. ભારતમાં કોરોનાવાઇરસનાં પોઝિટીવ કેસિઝનો આંકડો 60 પર પહોંચ્યો છે જેમાંથી 36 ભારતીય નાગરિકો છે, મુંબઇમાં પણ બે કેસ પોઝિટિવ આવ્યા છે. કેન્દ્ર સરકારે ભારત આવવાના વિઝા 15મી એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે જેથી કોરોનાવાઇરસનુો વિસ્તાર અટકાવી શકાય.
IPL 2020ની 13મી આવૃત્તિ 29મી માર્ચથી શરૂ થવાની વાત હતી જેમાં પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્ઝ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં પહેલી મેચ રમાવાની છે. જો કે અત્યારે તો આ મેચનું ભવિષ્ય આજે થનારી બેઠક બાદ જ ખબર પડશે.