સાચવીને રમવાથી કશું નહીં વળે, ફટકાબાજી કરવી જ પડશે : વિરાટ કોહલી
ભારતીય કપ્તાન વિરાટ કોહલી
ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી ટેસ્ટ મૅચ હારી ગયા પછી વિરાટ કોહલીએ પોતાના બૅટ્સમેનોને શિખામણ આપતાં કહ્યું છે કે તેમણે સાચવીને રમવા કરતાં ફટકાબાજી કરવી પડશે. પહેલી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં ટીમ ઇન્ડિયા ૨૦૦ રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. કોહલીએ પણ બન્ને ઇનિંગ મળીને ટોટલ ૨૧ રન કર્યા હતા. આ સંદર્ભે કોહલીએ કહ્યું કે ‘મને લાગે છે કે બૅટિંગ યુનિટમાં આપણે સંભાળીને રમીશું તો નહીં ચાલે, કેમ કે જો આપણે એ રીતે રમીશું તો શૉટ નહીં મારી શકીએ. તમે સંભાળીને રમો છો ત્યારે પોતાની બૅટિંગ પર શંકા કરવા માંડો છો. તમે વિચારો છો કે રન નથી મળતા, હવે શું કરીશું? એ દરમ્યાન તમે રાહ જોતા રહી જાઓ છો અને એક સારો બૉલ તમારી વિકેટ લઈ જાય છે. જો હું ફાસ્ટર્સને મદદ મળતી હોય એવી વિકેટ પર રમતો હોઉં તો વિરોધી ટીમને દબાણમાં લાવવા મારે આક્રમક બૅટિંગ કરવી પડશે. જો હું એમાં નિષ્ફ્ળ જાઉં તો એવું માની શકાય કે વિચાર યોગ્ય હતો. તમે પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન રહ્યો અને મારા ખ્યાલથી આમ સ્વીકારવામાં કોઈ નુકસાન નથી.’
ચેતેશ્વર પુજારાએ ૮૧ બૉલ રમીને માત્ર ૧૧ રન કર્યા હતા, જ્યારે હનુમા વિહારીએ ૭૯ બૉલમાં ૧૫ રન કર્યા હતા. બન્ને ટીમ વચ્ચે છેલ્લી ટેસ્ટ મૅચ ૨૯ ફેબ્રુઆરીએ રમાશે.