વર્લ્ડ કપ બાદ પહેલી વન-ડે સીરિઝ જીતવા પર વિરાટ કોહલીની નજર રહેશે
File Photo
Mumbai : વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ હાલ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે ટી20 સીરિઝ પર કબ્જો કર્યા બાદ વન-ડે સીરિઝમાં પણ કબ્જો કરવા અને તેની જ ધરતી પર વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે ત્રીજી અને સીરિઝની અંતિમ વન-ડે રમવા માટે મેદાન પર ઉતરશે. અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં બુધવારે રમાશે. છેલ્લી ચાર મેચથી સતત નિષ્ફળ રહેનાર ઓપનર શિખર ધવન પર તમામની નજર રહેશે. ટી20 સિરીઝમાં 1 રન, 23 અને 3 રન બનાવનાર ધવન બીજી વનડેમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો. ઈજા બાદ તેની વાપસી સારી રહી નથી.
શ્રેયશ અય્યર અને રિષભ પંત પર રહેશે નજર
ઉલ્લેખનીય છે કે શિખર ધવન ટેસ્ટ ટીમમાં નથી અને તેવામાં તે પોતાના કેરેબિયન પ્રવાસનો અંત યાદગાર ઈનિંગ સાથે કરવા ઈચ્છશે. ભારતીય ટીમમાં ચોથા નંબર પર જગ્યા પાક્કી કરવાને લઈને ટક્કર ચાલી રહી છે અને અય્યરે બીજી વનડેમાં શાનદાર બેટિંગ કરીને રિષભ પંત પર દબાવ વધારી દીધો છે. પંતને ટીમ મેનેજમેન્ટ ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન હાસિલ છે, પરંતુ તેની સતત નિષ્ફળતા અને બીજી વનડેમાં અય્યરની 68 બોલમાં 71 રનની ઈનિંગથી સ્થિતિ બદલાઇ ગઈ છે.
આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?
શ્રેયશ અય્યરે ચોથા સ્થાન પર પોતાનો મજબુત દાવો રાખ્યો
રિષભ પંત હજુ સંપુર્ણ રીતે પોતાની લયમાં આવી નથી શક્યો. જોકે કોઈ પણ ટીમ આ મહત્વપૂર્ણ સ્થાન પર ધૈર્યવાન બેટ્સમેનને ઉતારવા ઈચ્છશે અને રવિવારે રમેલી ઈનિંગથી અય્યરે પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી વનડેમાં 125 બોલમાં 120 રન ફટકારનાર સુકાની વિરાટ કોહલી પણ પોતાના ફોર્મને જાળવી રાખવા ઈચ્છશે. ધવન, રોહિત શર્મા અને પંત ઝડપથી આઉટ થયા બાદ કોહલીએ અય્યરની સાથે મળીને ઈનિંગને સંભાળી હતી.