સેહવાગ જેવી ઇનિંગ આજે કોણ રમશે?
વિરેન્દ્ર સહેવાગ
ઇંગ્લૅન્ડે ભારત સામે જીતવા જે ૪૨૦ રનનો ટાર્ગેટ આપ્યો છે એ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધતા ભારતે ૩૯ રનમાં એક વિકેટ ગુમાવી દીધી છે. પાંચમાં અને અંતિમ દિવસે ભારતને જીતવા માટે હજુ ૩૮૧ રનની જરૂરત છે અને એવામાં ગઈકાલે સોશ્યલ મિડીયામાં લોકોને અચાનક વિરેન્દ્ર સહેવાગની યાદ આવી ગઈ હતી.
વાસ્તવમાં ૨૦૦૮માં ચેન્નઈના આ જ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચના છેલ્લા દિવસે મૅચ જીતવા માટે ભારત સામે ૩૮૭ રનનો લક્ષ્ય હતો. એ મૅચમાં સહેવાગે બીજી ઇનિંગમાં ૮૩ રન બનાવ્યા હતા જ્યારે સચિન તેન્ડુલકરે અણનમ ૧૦૩ રનની પારી રમી મૅચ છ વિકેટે જીતી લીધી હતી. સહેવાગને યાદ કરવાનું મુખ્ય કારણ એ કે ચેન્નઈના ચૈપોક સ્ટેડિયમમાં સહેવાગે ૨૦૦૮માં સાઉથ આફ્રિકા સામે ૩૧૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે આ સ્ટેડિયમ પર કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા કરવામાં આવેલો હાયેસ્ટ સ્કોર છે. સાઉથ આફ્રિકા સામેની એ મૅચ ડ્રો રહી હતી પણ આજે ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચ જીતવા કોઈ ભારતીય પ્લેયરે વિરેન્દ્ર સહેવાગ જેવી ધાકડ ઇનિંગ રમવી પડશે, જેમાં કોઈ બેમત નથી.