ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણની મૅનેજમેન્ટને સલાહ...
ઇરફાન પઠાણ
ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ શુક્રવારથી શરૂ થવાની છે અને એવામાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે ચાઇનામૅન કુલદીપ યાદવને સ્પેશ્યલ ગણાવી ટીમ મૅનેજમેન્ટને તેને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપવાની સલાહ આપી છે.
કુલદીપ પાસે છે ખાસ પ્રતિભા
ADVERTISEMENT
કુલદીપ યાદવની ખાસ પ્રતિભા વિશે વાત કરતાં ઇરફાન પઠાણે કહ્યું કે ‘રોજ-રોજ તમને લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર નથી મળતા. કુલદીપ પાસે જે પ્રતિભા છે એ ખરેખર દુર્લભ છે. બૅટ્સમેનોને આવા બોલર સામે રમવાનો વધારે અનુભવ નથી હોતો એટલે કુલદીપ પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી શકાય. ઇતિહાસ જોશો તો ખબર પડશે કે ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રિસ્ટ સ્પિનરોએ હંમેશાં બેસ્ટ પર્ફોર્મ કર્યું છે.’
ત્રણ મહિનાથી છે બહાર
મૂળ વાત એ છે કે કુલદીપ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થાય છે, પણ પ્લેઇંગ ઇલેવનમાં તેને સ્થાન નથી મળી રહ્યું. ઑસ્ટ્રેલિયા સામેની ગૅબા ટેસ્ટ પહેલાં જ્યારે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયા ત્યારે ટીમમાં કુલદીપને રમવાની તક મળશે એવું લાગી રહ્યું હતું, પણ એવું નહોતું થયું. એ ટેસ્ટમાં સ્પિનર તરીકે વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આત્મવિશ્વાસ મજબૂત રાખવો જરૂરી
કુલદીપ યાદવનો ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ન થતાં તેનો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે એ બાબતે વાત કરતાં ઇરફાન પઠાણે કહ્યું કે ‘લાંબા સમય સુધી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં તેના મનમાં નિરાશા ઘર કરી શકે છે. એવામાં ટીમ મૅનેજમેન્ટની જવાબદારી મહત્ત્વની બની જાય છે કે કઈ રીતે તેઓ કુલદીપને માનસિક રીતે સકારાત્મક રાખી શકે. મને વિશ્વાસ છે કે તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે અને એને લીધે જ ટીમ ઇન્ડિયાના યુવાઓએ ઑસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.’
કુલદીપ યાદવે અત્યાર સુધી ૬ ટેસ્ટ મૅચમાં કુલ ૨૪ વિકેટ લીધી છે.
૨-૧થી જીતી શકે છે ભારત
ભારતની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝના ટીમ કૉમ્બિનેશન સંદર્ભે વાત કરતાં પઠાણે કહ્યું કે ‘આ સંપૂર્ણપણે વિકેટ પર આધાર રાખે છે, પણ ચેન્નઈમાં ત્રણ સ્પિનરોને તક મળવાની સંભાવના છે. આપણે જોયું છે કે ચેન્નઈની પિચ પર વધારે બાઉન્સ અને સ્પિનરોને અનુકૂળ એવી માટી હોવાને લીધે સારી મદદ મળે છે. મારા ખ્યાલથી ચાર ટેસ્ટ મૅચમાં રવિચંદ્રન અશ્વિન અને વૉશિંગ્ટન સુંદર રમી શકે છે. સ્વાભાવિક રીતે ભારત આ સિરીઝ ૨-૧થી જીતશે અને એમાં કોઈ બેમત નથી છતાં ઇંગ્લૅન્ડને ઓછી આંકવાની ભૂલ ન કરી શકાય.’