ટીમમાં 23થી 25 મેમ્બર્સની સ્ક્વૉડ જાહેર કરે એવી સંભાવના
બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ-સિરીઝ રમવાની છે અને આ સિરીઝ માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ ૨૩થી ૨૫ મેમ્બરોની સ્ક્વૉડ જાહેર કરે એવી સંભાવના છે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ પ્લેયર્સની સુરક્ષા ખાતર આ પગલું લઈ રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું કે ‘પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે ઇંગ્લૅન્ડ ટૂર દરમિયાન જે પ્રમાણે ૨૩થી ૨૫ પ્લેયર્સ મોકલ્યા હતા એ જ પ્રમાણે ઑસ્ટ્રેલિયા ટૂર પર અમે ૨૩થી ૨૫ પ્લેયર્સની સ્ક્વૉડ મોકલીશું. આ દરમિયાન નેટબોલર્સને બોલવાની જરૂર નહીં રહે અને ઇન્ડિયા ‘એ’ સ્ક્વૉડ ભાગ લઈ શકશે.’
ઇન્ડિયન ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ દેવાંગ ગાંધી, જતીન પરાંજપે અને સરનદીપ સિંહ જેમનો ચાર વર્ષનો કાર્યકાળ ૩૦ સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે તેઓ ઑસ્ટ્રેલિયા ટૂર માટે ભારતીય ટીમનું સિલેક્શન કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડ કદાચ આ ત્રણેય સિલેક્ટર્સનો કાર્યકાળ લંબાવી શકે અથવા ગમે એ સમયે ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે એવી સંભાવના છે. જોકે ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીને ઇન્ટરવ્યુ વિશે હજી સુધી કોઈ જાણકારી આપવામાં નથી આવી.