બીજી ટેસ્ટમાં વધુ એક બદલાવની શક્યતા
ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ફિટનેસ પર ભારતીય ટીમ મૅનેજમેન્ટ ખાસ નજર રાખી રહી છે અને જો તે શનિવાર સુધીમાં ફિટ થઈ જશે તો બીજી ટેસ્ટમાં તેને રમાડવામાં આવશે. મૅનેજમેન્ટ બૅટ્સમૅન હનુમા વિહારીની જગ્યાએ ઑલરાઉન્ડર જાડેજાને રમાડવા ઉત્સુક છે.
પ્રથમ ટી૨૦ દરમ્યાન બૅટિંગ કરતી વખતે મિચલ સ્ટાર્કનો બૉલ જાડેજાના માથામાં વાગ્યો હતો અને બીજી ઇનિંગ્સમાં તેની જગ્યાએ કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે યુઝવેન્દ્ર ચહલને રમાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ જાડેજા બાકીની બન્ને ટી૨૦માંથી પણ બહાર થઈ ગયો હતો. આ ઉપરાંત જાડજા હૅમસ્ટ્રિંગ ઇન્જરીને લીધે પહેલી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો. જોકે થોડા દિવસથી તે નિયમિત નેટ-પ્રૅક્ટિસ કરી રહ્યો છે અને ફિટનેસ પાછી મેળવી રહ્યો છે. જો જાડેજા શનિવાર સુધીમાં ૧૦૦ ટકા ફિટ થઈ જશે તો આંધ્ર પ્રદેશના બૅટ્સમૅન હનુમા વિહારીનું પત્તું કપાઈ શકે છે. વિહારીએ પ્રથમ ટેસ્ટમાં ૦ અને ૪ રન બનાવ્યા હતા. આ ઉપરાંત મુંબઈકર જોડી કૅપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રવિ શાસ્ત્રી બીજી ટેસ્ટ માટે કેવું
ADVERTISEMENT
ટીમ-કૉમ્બિનેશન ફાઇનલ કરે છે બાબત પર બધો આધાર રહેશે.
ક્રિકેટ બોર્ડના સિનિયર અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે ‘જો જાડેજા લાંબો બોલિંગ સ્પેલ નાખવા માટે ફિટ હોય તો તેના રમવા વિશે કોઈ શંકા નથી. જાડેજા તેની ઑલરાઉન્ડ આવડતને કારણે વિહારીનું સ્થાન લઈ શકે છે. એને લીધે ટીમને પાંચ બોલર સાથે મેદાનમાં ઊતરવાનો વિકલ્પ મળી રહેશે.
જાડેજાએ અત્યાર સુધી ૪૯ ટેસ્ટમાં ૩૫ની ઍવરેજ અને ૧૪ હાફ સેન્ચુરી સાથે ૧૮૬૯ રન બનાવ્યા છે.
છેલ્લી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની ટીમમાં તેણે હાફ સેન્ચુરી ફટકારી છે. બીજી તરફ હનુમા વિહારીએ ૧૦ ટેસ્ટમાં ૩૩ પ્લસની ઍવરેજ સાથે એક સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી સાથે ૫૭૬ રન બનાવ્યા છે. વરસાદને લીધે પ્રૅક્ટિસ રદ ટીમ ઇન્ડિયા ગઈ કાલે ઍડીલેડ ઓવલમાં શેડ્યુલ પ્રમાણે પ્રૅક્ટિસ કરવાની હતી, પણ વરસાદને લીધે એ પ્રૅક્ટિસ મૅચ રદ કરવી પડી હતી.
વિરાટ આજે ભારત પાછો ફરશે, જ્યારે ટીમ મેલબર્ન રવાના થશે.
રોહિત સિડનીમાં જ છે, ત્રીજી જાન્યુઆરીથી શરૂ કરશે પ્રૅક્ટિસ
રોહિત શર્મા હાલમાં સિડનીમાં બે રૂમના અપાર્ટમેન્ટમાં ક્વૉરન્ટીન છે. સિડનીમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને જોતાં લૉકડાઉનની શંકાને લીધે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ડેવિડ વૉર્નર અને સીન ઍબટને સિડનીથી મેલબર્ન મોકલી આપ્યા હતા. રોહિતને ક્વૉરન્ટીન દરમ્યાન શિફટ કરી શકાય એમ ન હોવાથી તે સિડનીમાં જ રહેશે. રોહિત બીજી ટેસ્ટ રમી શકે એમ ન હોવાથી તેને શિફ્ટ કરવાની પણ જરૂર નહોતી. ત્રીજી ટેસ્ટ શેડ્યુલ પ્રમાણે સિડનીમાં રમાવાની છે. જો ત્રીજી મૅચના શેડ્યલુમાં બદલાવ થશે તો ક્રિકેટ બોર્ડ ઑસ્ટ્રેલિયન બોર્ડ સાથે વાત કરીને યોગ્ય પગલાં લેશે. ક્વૉરન્ટીન પિરિયડ બાદ જો રિપોર્ટ નૉર્મલ આવ્યા તો રોહિત ત્રીજી જાન્યુઆરીથી પ્રૅક્ટિસ શરૂ કરી શકશે.