થૂંક બેન કરાય તો ગેમને બૅલૅન્સ રાખવા માટે અન્ય વિકલ્પ જરૂરી છે: ગંભીર
ગૌતમ ગંભીર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું કહેવું છે કે બૉલ પર થૂંક લગાવવાનું બેન કર્યા બાદ એને બદલે અન્ય વિકલ્પ હોવો જોઈએ જેથી ગેમને બૅલૅન્સ રાખી શકાય. આ વિશે ગંભીરનું કહેવું છે કે ‘આ વ્યક્તિ-વ્યક્તિ પર આધાર રાખે છે, પણ હા, જ્યારે તેઓ બહાર રમવા જાય છે ત્યારે વધારે સાવચેતીની જરૂર છે. મેદાનમાં ગયા બાદ દરેક પ્લેયર પોતાની ગેમમાં મગ્ન થઈ જાય છે. ટી૨૦ વર્લ્ડ કપ જ્યાં સુધી યોજવાની વાત છે ત્યાં સુધી એ આઇસીસી અને બીસીસીઆઇના નિર્ણય પર આધાર રાખે છે. જો દરેક સ્ટેકહોલ્ડર તૈયાર હોય તો શેડ્યુલ પ્રમાણે ગેમ રમાડી શકાય. બૉલ પર થૂંક લગાડવાના મુદ્દે લગાવવામાં આવેલો પ્રતિબંધ બોલર માટે મુસીબત ઊભી કરી શકે છે. આઇસીસીએ આનો વિકલ્પ શોધવો પડશે. મને નથી લાગતું કે બૉલને ચમકાવ્યા વિના બૅટ અને બૉલની જબરદસ્ત જુગલબંદી જોવા મળે. જો તેઓ થૂંક લગાડવાની ના પાડતા હોય તો અન્ય કોઈ વિકલ્પ તેમણે આપવો જ પડશે.’
બૉલ પર થૂંક લગાડવા પર બંધીની ભલામણ કરાઈ: વધારાના ડીઆરએસની માગણી
ADVERTISEMENT
અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી આઇસીસી ક્રિકેટ કમિટીએ બૉલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સાથે-સાથે બૉલ પર પસીનો લગાડી શકાય છે, કેમ કે એનાથી કોરોના વાઇરસના ફેલાવાનો ભય લગભગ નહીંવત્ હોય છે. આઇસીસીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે ‘આઇસીસીએ પોતાની સલાહકાર કમિટીના અધ્યક્ષ ડૉ. પીટર હાર્કોર્ટ પાસેથી થૂંકના વપરાશ દ્વારા રોગ ફેલાવાના મુદ્દે માહિતી મેળવી હતી અને પછી જ થૂંક પર પ્રતિબંધ મૂકવાની ભલામણ સર્વાનુમતે કરી હતી. જોકે પરસેવાને લીધે આવો કોઈ ભય રહેતો નથી એટલે પરસેવા પર પ્રતિબંધ મૂકવાની કોઈ જરૂર રહેતી નથી છતાં રમતના ક્ષેત્રમાં સ્વચ્છતા રાખવાની દિશામાં પગલાં લેવામાં આવશે.’
ઇન્ટનૅશનલ ટ્રાવેલિંગ બંધ હોવાને લીધે લોકલ અમ્પાયરને તક આપવામાં આવશે અને સાથે-સાથે દરેક ટીમને દરેક ફૉર્મેટમાં એક્સ્ટ્રા ડીઆરએસની વચગાળાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે એવી ભલામણ કરવામાં આવી છે.