પંત મૅચ વિનર હોય તો તેને રમાડવામાં કેમ નથી આવતો : સેહવાગ
વીરેન્દર સેહવાગ
ઇન્ડિયન ટીમ મૅનેજમેન્ટની ટીકા કરતાં વીરેન્દર સેહવાગે કહ્યું હતું કે રિષભ પંતને ભવિષ્ય ગણવામાં આવતું હોય તો તેને કેમ રમાડવામાં નથી આવતો. એમ. એસ. ધોનીની જગ્યાએ પંતને તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી કહી રહ્યા છે. જોકે ન્યુ ઝીલૅન્ડ સામેની ટીમમાં પંતને બદલે રાહુલ વિકેટકીપિંગ કરી રહ્યો છે. આ વિશે સેહવાગે કહ્યું કે ‘રિષભ પંતને રમાડવામાં જ નથી આવી રહ્યો તો પછી તે સ્કોર કેવી રીતે કરશે? જો તમે સચિન તેન્ડુલકરને પણ ન રમાડો તો તે પણ સ્કોર ન કરી શકે. તમને ખબર છે કે તે મૅચ-વિનર છે તો પછી તેને રમાડી કેમ નથી રહ્યા?’
પોતાનું ઉદાહરણ આપતાં સેહવાગે કહ્યું હતું કે ‘અમારા સમયમાં કૅપ્ટન પોતે પ્લેયર પાસે જઈને તેમની સાથે ચર્ચા કરતો હતો. વિરાટ કોહલી એવું કરે છે કે નહીં એની મને નથી ખબર, કારણ કે હું હવે ટીમના સેટઅપનો ભાગ નથી રહ્યો. જોકે લોકો કહે છે કે રોહિત શર્મા જ્યારે એશિયા કપમાં કૅપ્ટન તરીકે ગયો હતો ત્યારે તે પ્લેયર સાથે વાત કરતો હતો. ઑસ્ટ્રેલિયામાં જ્યારે એમ. એસ. ધોનીએ કહ્યું હતું કે ટીમના ટૉપ ત્રણ પ્લેયર ખૂબ જ ધીમા છે ત્યારે અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં નહોતી આવી. અમને મીડિયા પાસેથી ખબર પડી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું, પરંતુ ટીમ-મીટિંગમાં નહીં. જો એવું ફરી થઈ રહ્યું હોય તો એ ખોટું છે. આથી જ આપણને રોહિત શર્મા જેવા પ્લેયરની જરૂર છે જેઓ ટીમ-મીટિંગમાં પણ વાત કરે છે.’