ખાલી મેદાનમાં IPL રમાડવું સેફ હોય તો એ કરવું જોઈએ : લક્ષ્મણ અને ગાવસકર
સુનીલ ગાવસકર અને વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે ખાલી સ્ટેડિયમમાં જો ઇન્ડિયન પ્રીમિયર લીગ રમાડવી સેફ હોય તો એમ કરવું જોઈએ. કોરોના વાઇરસને કારણે આઇપીએલને ૧૫ એપ્રિલ સુધી પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. આ વિશે સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. સચિન તેન્ડુલકર રનઆઉટ થયા બાદ દર્શકો કાબૂ બહાર થયા હતા. મને લાગે છે કે એ દિવસે મૅચ બંધ કરી દેવી પડી હતી અને બીજા દિવસે એને ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. ઇન્ડિયાની વાત છે ત્યાં સુધી આપણે ખાલી સ્ટેડિયમમાં રમી ચૂક્યા છીએ. દરેક માટે જે સારું હોય એને ધ્યાનમાં રાખવું જોઈએ. ખાલી સ્ટેડિયમમાં રમવું દરેક માટે સેફ હોય તો એ કરવું જોઈએ.’
આ વિશે લક્ષ્મણે કહ્યું હતું કે ‘આઇપીએલને લાખો-કરોડો લોકો જુએ છે. ગ્રાઉન્ડની કૅપેસિટીના આધારે ૩૦-૪૦ હજાર લોકો મૅચ જુએ છે, પરંતુ વધુપડતા લોકો ટીવી પર એની મજા માણે છે. ક્રિકેટર્સને લોકોની સામે રમવું પસંદ છે, પરંતુ જો એ રિસ્કી હોય તો ખાલી સ્ટૅન્ડમાં રમાડવું વધુ યોગ્ય છે.’