એશિઝથી ICC નવો નિયમ લાગું કરી શકે છે, તમામ ટીમોને થશે ફાયદો
London : વર્લ્ડ કપ 2019 પુરો થઇ ગયો છે અને ઇંગ્લેન્ડ પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બની ગયું છે. હવે તમામ ટીમોએ પોત પોતાની આવનારી ટુર્નામેન્ટને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પહેલા ઓગસ્ટથી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝ શરૂ થઇ રહી છે. આ એશિઝ સિરીઝથી સબસ્ટિટ્યુટ ખેલાડીઓ સંબંધિત ICC નવો નિયમ લાગૂ કરી શકે છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્થ થાય તો તેની જગ્યા બીજો ખેલાડી લઈ શકશે. તે બેટિંગ, બોલિંગ કે વિકેટકીપિંગ કરી શકે છે. અત્યાર સુધી માત્ર ફીલ્ડિંગ કરવાની છૂટ આપવામાં આવતી હતી.
શું છે નવો નિયમ...
નવો નિયમ લાગૂ થયો તો બેટ્સમેનના ઈજાગ્રસ્ત થવા પર બેટ્સમેન અને બોલર ઈજાગ્રસ્ત થવા પર તેના સ્થાને બોલરને સામેલ કરી શકાશે. આવા ખેલાડીને કન્કશન સબસ્ટિટ્યુટ કહેવામાં આવશે. આ નિયમને લાગૂ કરવા માટે લંડનમાં ચાલી રહેલી આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સમાં વાતચીત કરવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, તેને ઝડપથી લાગૂ કરવામાં આવશે જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી દરેક મેચોમાં આ નિયમનો ઉપયોગ કરી શકાય.
વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત એલેક્સ કેરીએ બેટિંગ કરી હતી
રવિવારે સમાપ્ત થયેલા વિશ્વ કપ દરમિયાન જોફ્રા આર્ચરના બોલ પર પહેલા આફ્રિકાનો હાશિમ અમલા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો એલેક્સ કેરી ઈજાગ્રસ્ત થયા હતા. અમલાએ ઈજા બાદ મેદાન છોડી દીધું હતું. તે બીજીવાર બેટિંગ કરવા ન આવ્યો. બીજીતરફ ઓસ્ટ્રેલિયાના કેરીએ મોઢા પર પટ્ટી બાંધીને બેટિંગ કરી હતી. આ દરમિયાન તેના ચહેરા પર લોહી નિકળતું હતું.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે નિયમનું સમર્થન કર્યું
આ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી શ્રીલંકન ટીમના બે ખેલાડી કુસલ મેન્ડિસ અને દિમુથ કરૂણારત્ને ભટકાયા હતા. ત્યારે દિમુથને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન કન્કશન સબસ્ટિટ્યુટની ચર્ચા થઈ હતી. હાલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે આ નિયમનું સમર્થન કર્યું હતું.
આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?
આ નિયમની ચર્ચા પહેલા ક્યારે થઈ?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ફિલિપ હ્યયૂઝના નિધન બાદ આ નિયમને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. હ્યયૂઝને 2014મા શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટની એક મેચમાં માથા પર બાઉન્સર વાગ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સારવાદ દરમિયાન હ્યયૂઝનું નિધન થયું હતું.
આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ
નિયમમાં શું-શું ફેરફાર થશે?
અત્યારે કોઈ બેટ્સમેન કે બોલર ઈજાગ્રસ્ત થાય તો તે મેદાન છોડીને બહાર જતો રહે છે. તેની જગ્યાએ બીજો કોઈ ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શકતો નથી. પરંતુ તે ફીલ્ડિંગ કરી શકે છે. કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ લાગૂ થયા બાદ મેદાન પર આવેલો ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શકે છે. ઉદાહરણ તરીકે વિરાટ કોહલી જો ઈજાગ્રસ્ત થાય તો 15 સભ્યોની ટીમમાં સામેલ કોઈ નિષ્ણાંત બેટ્સમેન તેની જગ્યા લઈ શકે છે. બુમરાહ તેનું સ્થાન ન લઈ શકે. જો બુમરાહ ઈજાગ્રસ્ત થાય તો તેની જગ્યા ફાસ્ટ બોલર લાવી શકે છે. કોઈ સ્પિનર કે બેટ્સમેન નહીં.