૨૦૧૧ વર્લ્ડ કપ પછી સચિન જે રીતે નાચ્યો હતો એ હું ક્યારેય નહીં ભૂલું:ભજી
હરભજન સિંહ (ફાઇલ ફોટો)
વર્લ્ડ કપ જીતવો એ દરેક ભારતીય ક્રિકેટરનું સપનું હોય છે અને જીત્યા બાદ સચિન તેન્ડુલકર જે રીતે નાચ્યો હતો એ હજી પણ હરભજન સિંહને યાદ છે. ઇન્ડિયન ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ૨૦૧૧માં ૨૮ વર્ષની રાહ જોયા બાદ ફરી પૂરું થયું હતું. બીજી એપ્રિલે ઇન્ડિયાએ વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો અને આજે પણ એ પ્રસંગ યાદ કરતાં ક્રિકેટપ્રેમીઓને ઉત્સાહ વધી જાય છે. એ પ્રંસગ વિશે વાત કરતાં હરભજન સિંહે કહ્યું કે ‘એ વખતે મેં પહેલી વાર સચિનને બિન્દાસ નાચતા જોયો હતો. પહેલી વાર આજુબાજુના લોકોની પરવાહ કરવાને બદલે પોતાની મસ્તીમાં અને ખુશીમાં વ્યસ્ત એવા સચિનને મેં જોયો હતો. મને યાદ છે, હું મૅડલ પહેરીને જ રાતના સૂઈ ગયો હતો અને જ્યારે સવારે મૅડલ પહેરી રાખીને જ ઊઠ્યો ત્યારે ઘણી સારી ફિલિંગ આવી રહી હતી. એ જીત એક એવું સપનું હતું જે અમે બધાએ સાથે મળીને જોયું હતું. એ લાગણી ખરેખર અદ્ભુત હતી. આજે પણ જ્યારે હું એ દિવસે યાદ કરું છું મારાં રુવાડાં ઊભાં થઈ જાય છે. વર્લ્ડ કપ ઉઠાવવાની વાત કંઈક ઓર જ હોય છે. કદાચ એ વખતે પહેલી વાર હું બધાની સામે જાહેરમાં રડ્યો હોઈશ. મને ખબર નહોતી કે મારે કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ.’
વર્લ્ડ કપ જીતી સચિન તેન્ડુલકરનું સપનું પણ પૂરું થયું હતું. યુવરાજ સિંહને શાનદાર ગેમ રમવા બદલ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.