2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં ધોનીને આગળ મોકલવાની સલાહ મારી હતી:તેન્ડુલકર
સચિન તેન્ડુલકર
શ્રીલંકા સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા ૨૦૧૧ વર્લ્ડ કપ ફાઇનલ મુકાબલામાં મહેન્દ્ર સિંહ ધોનીને આગળ બૅટિંગ કરવા મોકલવાની સલાહ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે આપી હતી. આ રાઝ પરથી પડદો ઉઠાવતાં સચિને કહ્યું કે ‘ગૌતમ એ વખતે ઘણી સારી ઇનિંગ રમ્યો હતો. જો ધોની જેવો પ્લેયર રમવા જાત તો તેણે માત્ર સ્ટ્રાઇક રોટેટ કરવી પડત. એ વખતે મેં વીરુને કહ્યું કે ઓવરની વચ્ચે જઈને ધોનીને માત્ર એટલું કહે અને નવી ઓવર શરૂ થાય એ પહેલાં પાછો આવી જા. હું અહીંથી હલવાનો નથી.’
વિરાટ કોહલી આઉટ થતાં યુવરાજને બદલે મહેન્દ્ર સિંહ ધોનીને મોકલવામાં આવ્યો હતો અને ત્યારે મેદાનમાં ગંભીર ટકી ગયેલો હતો. તે સેન્ચુરીથી માત્ર ત્રણ રન ચૂકી ગયો હતો અને તેના સ્થાને બાદમાં યુવરાજ સિંહ મેદાનમાં આવ્યો હતો. જોકે તેન્ડુલકરે એમ કહ્યું કે લેફ્ટ-રાઇટ બૅટ્સમેનનું કૉમ્બિનેશન બની રહે એ માટે યુવરાજ પહેલાં માહીને મોકલવાનો નિર્ણય યોગ્ય કહેવાશે અને સચિનની આ સલાહમાં એ વખતના કોચ ગેરી કર્સ્ટને પણ હકાર ભણ્યો હતો. ધોનીએ એ ગેમમાં ૭૯ બૉલમાં નૉટઆઉટ ૯૧ રન બનાવ્યા હતા અને સિક્સર ફટકારીને ઇન્ડિયન ટીમને વર્લ્ડ કપ જિતાડી આપ્યો હતો.