મને બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યાના કરવાના વિચાર આવતા હતા: રોબિન ઉથપ્પા
રોબિન ઉથપ્પા
ભારતીય ક્રિકેટર રૉબિન ઉથપ્પાએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ડિપ્રેશનમાં હોવાના સમયે મને બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. ઉથપ્પાએ ભારતીય ક્રિકેટ ટીમમાં ૨૦૦૬માં ડેબ્યુ કર્યું હતું. પોતાની વાત જણાવતાં ઉથપ્પાએ કહ્યું કે ‘મેં ૨૦૦૬માં ડેબ્યુ કર્યું હતું અને હું મારી જાતને વધારે ઓળખતો નહોતો. એ સમયે ઘણાં ડેવલપમેન્ટ થતાં હતાં અને મને ઘણું શીખવા મળતું હતું. હાલના સમયમાં હું મારી જાતને બહુ સારી રીતે ઓળખું છું. હું કશે પણ ક્યારેય સૂતો હોઉં તો પણ હું મારી જાતને સારી રીતે સંભાળી શકું છું. હું આવો બની શક્યો છું, કારણ કે મેં મારા જીવનમાં ડિપ્રેશનનો સામનો કર્યો છે અને એ સમયે અંદાજે ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન મને દરરોજ આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. એ એવો વખત હતો જ્યારે હું ક્રિકેટ વિશે પણ વિચારતો નહોતો. હું ફક્ત એ જ વિચારતો હતો કે હાલના સમયમાં અને આવનારા દિવસોમાં હું મારી જાતને કેવી રીતે ટકાવી શકીશ અને હું કઈ દિશામાં આગળ વધી શકીશ. ક્રિકેટને કારણે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. હું દરરોજ બહાર બેસીને બાલ્કનીમાંથી જમ્પ મારવાનો વિચાર કરતો હતો, પણ કશુંક એવું હતું જે મને આ કામ કરતાં અટકાવતું હતું. ધીમે-ધીમે ડાયરીમાં પોતાની જાતને ઉતારવાની શરૂઆત કરી જેથી હું પોતાને વધારે સારી રીતે સમજી શકું અને એ રીતે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મારા ખ્યાલથી જીવનમાં ક્યારેય નકારાત્મક હોવું પણ સારી વાત છે. હું આજે જેવો છું એવો મારા અનુભવના આધારે છું અને મને મળેલા નકારાત્મક અનુભવનો પણ મને કોઈ ખેદ નથી.’
‘રિઝર્વ પ્લેયર એકલા નહીં પડી જાય એનું ધ્યાન હંમેશાં ગંભીર રાખતો’
ADVERTISEMENT
કલકત્તા નાઇટ રાઇડર્સની કમાન એક સમયે ગૌતમ ગંભીરના હાથમાં રહેતી હતી, પણ એ હવે રાજસ્થાન રૉયલ્સ વતી રમી રહ્યો હોવાથી કલકત્તા નાઇટ રાઇડર્સનું નેતૃત્વ રૉબિન ઉથપ્પાના હાથમાં આવ્યું છે. જોકે રૉબિન ઉથપ્પાએ તાજેતરમાં ગૌતમ ગંભીર સાથે વિતાવેલા એ જૂના દિવસોને યાદ કર્યા છે. ગંભીરનાં વખાણ કરતાં રૉબિન ઉથપ્પાએ કહ્યું કે ‘મારા મતે ગંભીરની સૌથી સારી વાત એ હતી કે તે દરેક પ્લેયરને એક્સપ્રેસ થવાની તક આપતો હતો અને કોઈની પણ ગેમમાં વચ્ચે પડતો નહોતો. તે એક બાબતનું ધ્યાન રાખતો કે જે ગ્રુપને તે લીડ કરી રહ્યો છે એ ગ્રુપમાં સેન્સ ઑફ સિક્યૉરિટી બનેલી રહે. એક સફળ કૅપ્ટન તરીકે તેણે આઇપીએલ ટુર્નામેન્ટ જીતી બતાવી છે. તે દરેક પ્લેયર સાથે વાત કરતો. જે ટીમમાં નથી રમવાના એ પ્લેયર સાથે પણ તે ચર્ચા કરતો જેથી પ્લેયર એકલા હોવાનો અનુભવ ન કરે. આઇપીએલ જેવી ટુર્નામેન્ટનમાં તમારે અલગ-અલગ દેશોમાંથી આવેલા પ્લેયરોને સાથે રાખીને ચાલવું પડે છે, કેમ કે જે પ્લેયર નથી રમતા તેઓ પણ ટીમની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે હંમેશાં રિઝર્વમાં રહેલા પ્લેયર સાથે સમય વિતાવતો અને તેમને ટ્રેઇનિંગ પણ આપતો.’