હું લાંબા ગાળાના ટાર્ગેટ નક્કી નથી કરતો,સિરીઝ પર ફોકસ કરું છું:રોહિત
રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ ટીમના હિટમૅન રોહિત શર્મા લાંબા ગાળાના ટાર્ગેટ નક્કી કરવામાં નથી માનતો, પણ દરેક સિરીઝ પર ફોકસ કરવામાં માને છે. આ સાથે તે નજીકના સમયમાં જરૂરી પ્લાનિંગ પર વધારે ધ્યાન આપે છે. આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘છેલ્લા કેટલાક સમયથી મેં નોંધ્યું છે કે લાંબા ગાળાના નક્કી કરેલા ટાર્ગેટ તમને કામ નથી લાગતા, ઊલટાના એ તમને પ્રેશર અને સ્ટ્રેસ આપે છે. હું હવે આવતા ૨-૩ મહિનામાં જે સિરીઝ આવે એની તૈયારી કરવામાં માનું છું. સિરીઝ કોની સામે રમાવાની છે, હું કેટલું સારું પ્રદર્શન કરી શકું છું જેવા બધા મુદ્દા પર હું મારું કામ ચાલુ કરી દઉં છું. દરેક સિરીઝ કે ટુર્નામેન્ટનું પ્લાનિંગ મને ઘણી મદદ કરે છે અને આ મેથડ હું ભવિષ્યમાં પણ ચાલુ રાખીશ.’