વર્લ્ડ કપ રમવાની હજી પણ મારામાં તાકાત છે : ઉથપ્પા
રૉબિન ઉથપ્પા
રૉબિન ઉથપ્પાનું માનવું છે કે તે હજી પણ વર્લ્ડ કપ રમી શકે છે, ખાસ કરીને શૉર્ટ ફૉર્મેટમાં. ભારતે ૨૦૦૭માં જીતેલા વર્લ્ડ કપ ટી૨૦ ટીમનો હિસ્સો રહી ચૂકેલા રૉબિન ઉથપ્પાને ૨૦૦૮ બાદ ઇન્ડિયન ટીમમાંથી ડ્રૉપ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે નિયમિત ઇન્ડિયન ટીમ સાથે રમી પણ નથી શક્યો. જોકે તે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે રમે છે. આ વિશે વાત કરતાં ઉથપ્પાએ કહ્યું કે ‘હમણાં મારે સ્પર્ધાત્મક બનવું છે અને મારામાં હજી પણ એ આગ છે જે સારી રીતે રમી શકે છે. હું ખરેખર માનું છું કે મારામાં હજી પણ વર્લ્ડ કપ રમવાની તાકાત છે અને હું એને માટે લાયક પણ છું, ખાસ કરીને શૉર્ટ ફૉર્મેટ માટે. લોકોના આશીર્વાદ કહો કે ભગવાનની કૃપા કહો, એક પ્લેયર માટે આ ઘણું મહત્ત્વનું હોય છે. ખાસ કરીને ભારતમાં આ વાત ખૂબ ધ્યાનપૂર્વક જોવામાં આવે છે. તમે જ્યારે ભારતની બહાર રહો છો ત્યારે આ વાત લાગુ નથી પડતી, પણ જ્યારે દેશમાં રમો છો ત્યારે આ વાત ઘણી લાગુ પડે છે. તમે ક્યારેક તમારી જાતને પણ ભુલાવી નાખો છો અને એની સાથે છેતરપિંડી કરો છો. આ દરમ્યાન તમે ભૂલી જાઓ છો કે તમારામાં આજે પણ કેટલીક શક્યતાઓ બાકી રહેલી છે અને હું માનું છું કે મારામાં પણ કેટલીક શક્યતાઓ બાકી રહી છે. મને હજી પણ લાગે છે કે હું વિનિંગ ટીમનો હિસ્સો બની શકું એમ છું અને મારાં એ સપનાં હજી પણ જીવતાં છે.’